July 1, 2024

પ્રેમ પ્રકરણમાં Jamnagarમાં હત્યા, છરીના ઘા ઝીંકી યુવકને પતાવી દીધો

સંજય વાઘેલા, જામનગરઃ સુરત, અમદાવાદ સહિત મેગાસિટી માફક જામનગર પણ ક્રાઈમ કેપિટલ બનવાની દિશામાં આગળ વધી રહ્યું હોય તેમ સમયાંતરે ક્રાઈમની ઘટનાઓમાં નોંધાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગત મોડી રાત્રે જામનગર શહેરના ધરાનગર-૧ વિસ્તારમાં આવેલ વીર સાવરકર આવાસના ચોથા માળે ઇકબાલ ગનીભાઇ કુરેશી (ઉ.વ.૩૦) નામના યુવાનનું ઢીમ ઢાળી દેવાયું હતું.

ગત રાત્રિના 12:30 વાગ્યાના સમયગાળા દરમિયાન જામનગરના વીર સાવરકર આવાસના ચોથા માળે બે શખ્સો ઈકબાલ ગનીભાઇના ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યાં ઈકબાલ કાઈ સમજે તે પહેલા તેમના પર છરીના ઘા ઝીંકી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં ઈકબાલની ગંભીર હાલત થઈ હતી જેને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતા સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફ તથા જામનગર એલસીબીની ટીમ ઘટના સ્થળે તેમજ જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? અંબાલાલ પટેલની આગાહી

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર પ્રેમ પ્રકરણમાં ઈકબાલ નામના યુવાનની હત્યા નીપજાવવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. અત્યારના આ પ્રકરણમાં ઈમ્તિયાઝ જોખીયા અને કિશન ચૌધરી નામના બે શખ્સોની સંડોવણી પણ સામે આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ઈમ્તિયાઝ જોખિયા અને મૃતક ઈકબાલની પત્નીને લાંબા સમય આડા સબંધ હતા. જેને લઈને ઈકબાલ અને તેમની પત્ની વચ્ચે અવારનવાર કંકાસ થતો હતો. તેથી બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું અને તેના ભરણપોષણ સહિતની માથાકૂટ ચાલતી હતી. આ દરમિયાન હાલ ઇકબાલ ડ્રાઇવિંગ કામ કરીને ગુજરાત ચલાવતો હતો. જ્યારે તેની પત્ની તેનાથી અલગ ખખડનગર નવાગામમાં રહેતી હતી.

તેવામાં ગઈકાલે કોઈ કારણસર ઈકબાલની પત્ની મળવા માટે રાત્રિના સમયે આવી હતી અને બંને વચ્ચે મુલાકાત થઈ હતી. આ વાતની ઈમ્તિયાઝ જોખીયાને જાણ થઈ હતી અને કદાચ આ વાતનો જ ખાર રાખીને ઈમ્તિયાઝ જોખીયા અને કિશન ચૌધરી રાત્રિના સમયગાળા દરમિયાન ઈકબાલના ઘરે ઘૂસી ગયા હતા. ત્યાં છરીઓના આડેધડ ઘા ઝીંકી ઈકબાલને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવને પગલે પોલીસે તાત્કાલિક દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં હાલ હત્યાને અંજામ આપનાર આરોપીને દબોચી લેવામાં પોલીસ સફળતાની નજીક હોવાનું જણાઈ રહ્યું છે.