May 20, 2024

એક આરોપીની ઓળખ થઈ, 9 ટીમ તપાસ કરશેઃ અમદાવાદ પોલીસ કમિશનર

gujarat university stone pelting Ahmedabad police commisoner said one accused identified

અમદાવાદ પોલીસ કમિશનરે આ મામલે માહિતી આપી.

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પથ્થરમારા મામલે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યુ હતુ કે, ‘ગુજરાત યુનિવર્સિટીમાં 300થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. તેના એ બ્લોકમાં 75 વિદ્યાર્થીઓ રહે છે. તે રાતના સમયે નમાઝ અદા કરી રહ્યા હતા. ત્યારે 20-25 વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી-મારામારી કરી હતી. આ ઉપરાંત રૂમમાં તોડફોડ પણ કરી છે. અમને કંટ્રોલ રૂમમાં ફોન આવતાંની પાંચ મિનીટમાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.’

તેઓ કાર્યવાહી અંગે જણાવે છે કે, ‘હાલ આ મામલે કાર્યવાહી કરવા માટે 9 ટીમ બનાવવામાં આવી છે. જેમાં 5 ડીસીપીની ટીમ 4 ક્રાઇમની બ્રાન્ચની ટીમ સામેલ છે. હાલ એક આરોપીની ઓળખ કરવામાં આવી છે. સાંજે કાર્યવાહી બાદ તેની ધરપકડ પણ કરવામાં આવશે. આ આરોપી કોઈ સંસ્થા સાથે જોડાયેલો છે. પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરશે. પોલીસ તમામ વીડિયોની તપાસ કરશે અને તેને આધારે પણ કાર્યવાહી કરશે. આ મામલે રાતે જ સિક્યોરિટીએ ફરિયાદ નોંધાવી છે. ત્યારે ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.’

તેઓ આગળ જણાવે છે કે, ‘હાલ અહીં પરિસ્થિતિ કંટ્રોલમાં છે. કોઈએ ગભરાવવાની જરૂર નથી. હાલ બે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં છે. તઝાકિસ્તાન અને એક શ્રીલંકન વિદ્યાર્થી એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે.’

શું હતી સમગ્ર મામલો?
ગુજરાત યુનિવર્સિટીના એ-બ્લોક કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. અફગાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, આફ્રિકા અને ઉઝબેકિસ્તાનના વિધાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે કેમ્પસમાં અજાણ્યા ટોળાએ આવીને વિદ્યાર્થીઓનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીએ પથ્થર મારતા સામે ટોળાએ પણ પથ્થરમારો કર્યો હતો. હાલ તમામ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ પણ ગોઠવી દેવામાં આવ્યું છે. કટ્ટર અસામાજિક તત્વોના ટોળાએ વિદ્યાર્થીઓના વ્હિકલમાં તોડફોડ પણ કરી હતી. આ ઉપરાંત હોસ્ટેલના રૂમમાં પણ તોડફોડ કરવામાં આવી છે.