September 30, 2024

ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય, ટેકાના ભાવે ખરીદીની જાહેરાત

ગાંધીનગરઃ રાજ્ય સરકારના કૃષિ વિભાગે ખેડૂતો માટે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. સરકાર મગફળી, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ટેકાના ભાવે વેચાણ કરવા માટે ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોએ જણસનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ત્યારબાદ ખરીદી કરવામાં આવશે. આગામી 3જી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર સુધી મગફળીના ખેડૂતો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે.

ત્યારબાદ લાભ પાંચમ પછીના દિવસથી રાજ્ય સરકાર ટેકાના ભાવે જણસની ખરીદીની શરૂઆત કરશે. ખેડૂતો પાસેથી મગફળી, અડદ અને સોયાબીનના પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. લાભ પાંચમથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ગુજરાતના 150થી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદી કરવામાં આવશે.