May 20, 2024

કોંગ્રેસના દિગ્ગજ નેતાનું મોટું નિવેદન, કહ્યું – રૂપાલાની ટિકિટ ન બદલી તો…

Gujarat congress lok sabha election lalit kagathara said If Rupala ticket not changed we will not field Paresh Dhanani

અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘રૂપાલાની ટિકિટ કપાશે તો રાજકોટથી પરેશ ધાનાણીને મેદાને નહીં ઉતારીએ. રૂપાલની ટિકિટ કપાશે તો કોંગ્રેસ બીજો વિકલ્પ શોધશે.’

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ હવે જ્ઞાતિગત સમીકરણ સેટ કરવા માટે મથી રહી છે. રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો, આ બેઠક પર લેઉવા પટેલ સમાજનું પ્રભુત્વ રહેલું છે. ત્યારે પરેશ ધાનાણીને જો મેદાને ઉતારવામાં આવે તો રાજકોટ સીટ પર ભાજપનું પત્તુ કપાય તેવી શક્યતા છે. ત્યારે હવે આ મામલે લલિત કગથરાએ નિવેદન આપીને બળતામાં ઘી હોમ્યું છે. લલિત કગથરા જણાવે છે કે, ‘ન કરે નારાયણ, કોઈપણ સંજોગોમાં જો પરશોત્તમભાઈની ટિકિટ બદલે તો પરેશભાઈએ નહીં લડવાનું. અમે છૂટ આપીએ છીએ.’

આ પણ વાંચોઃ રાજ શેખાવતને અમદાવાદ એરપોર્ટ પર નજરકેદ કરવામાં આવ્યા

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
પરશોત્તમ રૂપાલાએ રૂખી સમાજની એક જાહેર સભામાં નિવેદન આપ્યું હતું કે, ‘ક્ષત્રિયોએ અંગ્રેજો સાથે રોટી-બેટીના વ્યવહાર કર્યા.’ત્યારબાદ ખૂબ ઝડપથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ક્ષત્રિય સમાજે આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. આ સાથે જ તેમણે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ભાજપે આ મુદ્દાને બહુ ગંભીરતાથી લીધો નહોતો. આ નિવેદન આપ્યાની 30 મિનિટમાં જ રૂપાલાનો માફી માગતો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મિટિંગમાં પણ માફી માગી હતી. છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નહોતો. તેમની એક જ માગ રહી છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે.