April 30, 2024

ગીરની કેસરમાં ખરણ આવતા ખેડૂતો ચિંતામાં, આ વર્ષે ભાવ આસમાને રહેશે

gir somnath kesar keri farmers worried prices will high this year

રાજેશ ભજગોતર, ગીર-સોમનાથઃ ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે. પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે. કારણ કે, કેરીમાં ખરણ આવ્યું છે. ખરણ એટલે આંબા પરથી ખાખડી (મધ્યમ કદની કેરી) ખરવા લાગી છે. આ સાથે વેજિટેટિવ ગ્રોથ આવવાથી નવી કૂંપણો ફૂટવા લાગ્યા હતા, જેથી ખેડૂતો અને ઇજારદાર પરેશાન બન્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીર વિસ્તારનાં આંબાવાડિયામાં કેરીઓ ઝૂલી રહી છે. તો સાથે આંબાનાં નીચેનાં ભાગે જોશો તો સંખ્યાબંધ કેરી ખરી ગઈ છે. આથી આંબાવાડીયાનાં માલિક એવા ખેડૂતો અને ઇજારદાર ચિંતામાં મૂકાયાં છે. ઇજારદારને એ ચિંતા સતાવી રહી છે કે, ‘ખેડૂતને નક્કી કરેલી રકમ ચૂકવવાની છે તો બીજી તરફ માર્કેટની અંદર નાની કેસર કેરીના એક કિલોના પાંચ રૂપિયા ભાવે વેચાઈ રહી છે અને બીજી તરફ આંબાઓમાં ફૂટ ફ્લાવરિંગ અટકી ગયું છે.

આ ઉપરાંત તેઓ જણાવે છે કે, ‘આ સાથે વેજિટેટિવ ગ્રોથ આવવાથી નવી કૂંપણો ફૂટવા લાગ્યા છે. તેને લઈને કેસર કેરી વધુ પ્રમાણમાં ખરી રહી છે તો દસ દિવસ પહેલાં જે નાની કેસર કેરીના એક કિલોના ભાવ 50થી 60 રૂપિયા હતો તે કેસર કેરી આજે પાંચ રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે. ગત વરસની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર 40 ટકા આવે એવી સંભાવના ખેડૂતો અને ઇજારદારો વ્યક્ત કરી રહ્યા છે.’ જ્યારે ખેડૂતને એ મૂંઝવણ છે કે, ‘કેસરમાં જો આમ જ ખરણ રહેશે તો ઇજારદાર બાકીની રકમ આપશે કે કેમ…? ’

કેસરમાં ખરણને લઈ કેરી પકવતા ગીરના ખેડૂતો અને ઇજારદારો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ‘આ વર્ષે પ્રથમ તબક્કાનું અંદર ફ્લાવરિંગ આવ્યું છે. બાકીનું જે બીજો અને ત્રીજા તબક્કામાં નહિવત ફ્લાવરિંગ આવ્યું છે. તેમાં પણ રાત્રિના સમયે ઝાકળ અને દિવસની ગરમી પડવાને લઈ ખરણની પ્રક્રિયામાં વધારો થયો છે. તેની સાથે સાથે બીજા અને ત્રીજા સ્ટેપનું જે ફ્લાવરિંગ નથી આવ્યું તેવા આંબાઓમાં હવે નવી કૂંપણો પાંદડાઓ આવી રહ્યા છે, તે કુદરતી પ્રક્રિયા છે અને તેમાં કોઈ ફેરફાર થઈ ના શકે. આ સમગ્ર પ્રક્રિયા જોતા બજારમાં કેસર કેરી ઓછી આવશે. જેને લઈને આ વર્ષે કેરી ના ભાવ આસમાને રહેશે.’