September 8, 2024

સરકાર ચાંદીપુરા વાયરસને ગંભીરતાથી લે, તાત્કાલિક પગલાં ભરોઃ ગેનીબેન ઠાકોર

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના વાયરસને લઇને સાંસદ ગેનીબેન ઠાકોરે સાંસદમાં મુદ્દો ઉઠાવ્યો હતો

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને બનાસકાંઠાના કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને તાત્કાલિક પગલાં ભરવા માટે વિનંતી કરી છે. આ સાથે જ વહેલી તકે વાયરસ વકરતો રોકાય તેવી કામગીરી કરવા માટે ભલામણ કરી છે.

ગેનીબેન ઠાકોરે આ મામલે જણાવ્યુ છે કે, ‘અત્યાર સુધીમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં 84 કેસ નોંધાયા છે.ચાંદીપુરા વાયરસથી 37 બાળકોએ જીવ ગુમાવ્યો છે. માટીની માખીમાંથી આ વાયરસ ફેલાય છે અને તેને પરિણામે આ વાયરસને ઘાતક કહેવાય છે. આ વાયરસમાંથી 100માંથી 15 દર્દીઓને બચાવી શકાય છે, એટલો ઘાતક વાયરસ છે.

તેઓ કહે છે કે, ગુજરાતમાં અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, ખેડા, વડોદરા, સુરત સહિતના મોટાભાગના જિલ્લાઓમાં આ વાયરસનું પ્રમાણ વધ્યું છે. એટલે કે આ વાયરસ દિન પ્રતિદિન ઘાતક બનતો જાય છે. ગુજરાતભરમાં કોરોનાની સ્થિતિ હતી અને તેનાથી જે ભય હતો તેના કરતાં પણ વધુ ભય આ વાયરસથી લોકોના મનમાં પ્રવેશી ગયો છે. કારણ કે આ વાયરસ બાળકોનો ભોગ લે છે અને એટલા માટે આ વાયરસને અતિ સંવેદનશીલ ગણી શકાય.

તેઓ વધુમાં કહે છે કે, ‘મારી કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રીને ભલામણ છે કે ગુજરાતમાં ફેલાતા આ વાયરસને ગંભીરતાથી લેવામાં આવે અને તેને રોકવાના પગલાં એક ઝુંબેશ સ્વરૂપે તાત્કાલિક ભરવામાં આવે.’