May 20, 2024

રામનવમીના અવસરે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળશે

પ્રથમવાર આ પ્રકારની શોભા યાત્રા પૂર્વ વિસ્તારમાં નીકળનાર છે.

અમદાવાદ: અમદાવાદમાં યોજાતી ભગાવન જગન્નાથની રથયાત્રા વિશ્વમાં પ્રસિધ્ધ છે ત્યારે તેની જ તર્જ પર રામનવમીના પાવનપર્વે ભગવાન શ્રીરામની શોભાયાત્રા નરોડા અને નિકોલમાં યોજાશે. આગામી 17મી એપ્રીલના રોજ રામનવમી પર્વ છે અને જ્યારે ભગવાન શ્રીરામ વર્ષો બાદ અયોધ્યામાં બિરાજમાન થયા છે ત્યારે તેનુ મહત્વ અનેરૂ બની જાય છે. ત્યારે પ્રથમવાર ભગવાન શ્રીરામ, ભગવાન કાશીવિશ્વનાથ અને ભગવાન શ્રી કૃષ્ણનો રથ નગરચર્યાઓ નિકળનાર છે. જેમ ભગવાન જગન્નાથની 16 કિલોમીટર ની યાત્રામાં 3 રથ હોય છે તેમ રામનવમીનાં પર્વે પણ 3 રથમાં યાત્રા નીકળશે.

રામજી મંદિરના રોકડીયા બાપુએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સવારે 8 વાગે યાત્રા નીકળશે અને 12 વાગે નિજ મંદિર પરત ફરશે અને ત્યારબાદ ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવશે. ભાગવા સેનાનાં અધ્યક્ષ કમલ રાવલે જણાવ્યું હતું કે, પ્રથમવાર આ પ્રકારની શોભા યાત્રા પૂર્વ વિસ્તારમાં નીકળનાર છે ત્યારે 15 કિલો મીટરની યાત્રામાં 22 થી વધુ જગ્યાએ ભગવાનનું સ્વાગત કરવામાં આવશે ઉપરાંત યાત્રામાં 3 હજારથી વધુ લોકો જોડાશે.

ચૈત્ર મહિનામાં નવરાત્રીના નવમા દિવસે નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે.ભગવાન શ્રી રામનો જન્મદિવસ ચૈત્ર માસમાં શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે, જે રામ નવમી તરીકે ઓળખાય છે. આ વર્ષે રામનવમી 17 એપ્રિલે ઉજવવામાં આવી રહી છે.