May 7, 2024

પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, 15 લોકોના મોત

પાકિસ્તાન : ભારતના પાડોશી દેશ પાકિસ્તાનને આતંકવાદની ફેક્ટરી માનવામાં આવે છે. પરંતુ હવે આ જ આતંકવાદીઓ ‘ભસ્માસુર’ બની ગયા છે. પાકિસ્તાનમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં 15 લોકોના મોતના સમાચાર સામે આવ્યાં છે. આ હુમલો પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં થયો હતો. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંત અને ઈરાનના પડોશી સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં બે દાયકાથી વધુ સમયથી બલૂચ રાષ્ટ્રવાદીઓ દ્વારા વિદ્રોહ શરૂ છે. બીજી બાજુ સરકાર આ વિદ્રોહને ખતમ કરવાનો દાવો કરે છે, પરંતુ ત્યાં હાલ હિંસા ચાલુ છે. માહિતી અનુસાર, ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ત્રણ હુમલા કર્યા હતા, જેમાં 4 અધિકારીઓ અને 2 નાગરિકો માર્યા ગયા. આ દરમિયાન ગોળીબાર શરૂ થયો, જેમાં 9 આતંકીઓ માર્યા ગયા છે. અધિકારીના જણાવ્યા અનુસાર ત્રણ હુમલાઓમાંથી એક હુમલો ઉચ્ચ સુરક્ષાવાળી જેલ પર પણ કરવામાં આવ્યો હતો.

બલૂચિસ્તાનના માચ અને કોલપુર પરિસર પર આતંકી હુમલો
મંગળવારે રાત્રે ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલના જણાવ્યા અનુસાર 29 અને 30 જાન્યુઆરીની રાત્રે આત્મઘાતી બોમ્બર સહિત ઘણા આતંકવાદીઓએ બલૂચિસ્તાનના માચ અને કોલપુર પરિસર પર હુમલો કર્યો હતો. અહેવાલ અનુસાર કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા હુમલાઓને સામે જવાબ આપ્યો હતો. આ ગોળીબાર દરમિયાન 9 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા જેમને સુરક્ષા દળોએ પકડી લીધા હતા.

આતંકવાદીઓ જેલમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા
આતંકવાદીઓએ ઉચ્ચ સુરક્ષા હેઠળ આવેલી સેન્ટ્રલ માચ જેલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કેટલાક ખતરનાક આતંકવાદીઓ અને મૃત્યુદંડની સજા પામેલા કેદીઓ છે. ISPRએ સોમવાર રાતથી ચાર સુરક્ષાકર્મીઓ અને બે નાગરિકોની હત્યાની પુષ્ટિ કરી છે. અહેવાલ અનુસાર સુરક્ષા દળોને આસપાસના વિસ્તારમાં તાત્કાલિક તૈનાત કરવામાં આવ્યા છે અને આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણ આત્મઘાતી બોમ્બર સહિત નવ આતંકવાદીઓ માર્યા ગયા છે જ્યારે ત્રણ ઘાયલ થયા છે.

આ વર્ષનો સૌથી ઘાતક હુમલો
સુરક્ષા દળો પર સોમવારે રાત્રે થયેલો હુમલો આ વર્ષનો આતંકવાદીઓનો સૌથી ઘાતક હુમલો છે. ગયા વર્ષે નવેમ્બરમાં બંદરગાહ શહેર ગ્વાદરમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં ઓછામાં ઓછા 14 સૈનિકો માર્યા ગયા હતા. BLAએ 18 જાન્યુઆરીએ ઈરાનમાં તેમના કેમ્પ પર પાકિસ્તાનના હુમલા બાદ બલૂચિસ્તાનમાં અને અન્ય સ્થળોએ સુરક્ષા દળો પર હુમલા કરવાની ધમકી આપી હતી. ઈરાનમાં BLA કેમ્પ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનમાં ઈરાની હુમલાના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા હતા.