July 1, 2024

નોકરીનો પહેલો દિવસ’ને….મળ્યું મોત, અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રના વિયોગમાં પિતાનું પણ અવસાન

Rajkot TRP Gamezone News: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંમાં 27થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. આ અગ્નિકાંડમાં ઘણા લોકોએ પોતાના બાળકો ગુમાવ્યા છે ત્યાં જ આ ઘટનામાં સામેલ અધિકારીઓ સામે પોલીસ કાર્યવાહી ચાલુ છે ત્યારે રાજકોટ અગ્નિકાંડને લઇ વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્ર વિયોગમાં પિતાનું અવસાન થયાની ખબર સામે આવી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં પોતાના એકના એક પુત્રને ગુમાવનારા પિતાએ આજે અંતિમશ્વાસ લીધા હતા. જશુભા હેમુભા જાડેજા નામના વ્યક્તિનું આજે અવસાન થયું છે. છેલ્લા બે દિવસથી પિતા દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા. જશુભા હેમુભા જાડેજાનું પુત્રના વિયોગમાં મોત થયું હોવાની ઘટના બની છે.

તમને જણાવી દઇએ કે, રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતું. વિશ્વરાજસિંહ જાડેજાનો ટીઆરપી ગેમઝોનમાં નોકરીનો પ્રથમ દિવસ હતો અને ત્યાં આગ લાગી હતી. જે બાદ આ આગમાં તેનું પણ મોત નિપજ્યું હતું. હાલમાં પુત્ર બાદ પિતાનું પણ મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, ગેમઝોનમાં રેઝીનનો 1500 લિટર જથ્થો હોવાનું ખુલ્યું

ઉલ્લેખનીય છે કે રાજકોટ TRP ગેમઝોનમા અગ્નિકાંડનો મામલે રોજ નવા નવા ખુલાસા થતા રહે છે. ત્યારે હવે અગ્નિકાંડ માટે સૌથી મોટો ખુલાસો થયો છે. TRP ગેમઝોનમાં રેઝીનનો 1500 લિટર જથ્થો હોવાનું સામે આવ્યું છે. તેમજ ગેમઝોનમાં પેટ્રોલનો અડધો ભરેલો કેરબો પણ હતો. આ સિવાય રેઝીનનો ઉપયોગ વિવિધ રાઈડ્સના મેન્ટેનન્સ માટે કરાતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.