July 2, 2024

Manipurમાં ઉગ્રવાદીઓએ પોલીસ ચોકીઓ સળગાવી, 70 ઘરોને આગ ચાંપી

Manipur: મણિપુરના જિરીબામમાં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને 70 થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી. આગ લગાડ્યા પછી હથિયારોથી સજ્જ શંકાસ્પદ ઉગ્રવાદીઓ ગામડાઓમાં નિર્ભયપણે ફરતા જોવા મળ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મણિપુર પોલીસની કમાન્ડો ટુકડીને શનિવારે સવારે ઇમ્ફાલથી જિરીબામ એરલિફ્ટ કરવામાં આવી હતી. અન્ય જિલ્લામાંથી ભૂમિ સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉગ્રવાદીઓએ શુક્રવારે સવારે 12:30 વાગ્યે બરાક નદીના કિનારે છોટોબેકારા અને જિરી પોલીસ ચોકીઓને આગ લગાવી દીધી હતી. આતંકવાદીઓએ લમતાઈ ખુનાઈ, મોધુપુર વિસ્તારમાં અંધારાનો લાભ લઈને અનેક હુમલાઓ કર્યા હતા અને જિલ્લાની બહારના ભાગમાં 70 થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી.

નોંધનીય છે કે અન્ય સમુદાયના ઉગ્રવાદીઓ દ્વારા એક વૃદ્ધ વ્યક્તિની કથિત રીતે હત્યા કરવામાં આવ્યા બાદ હિંસા ફેલાઈ હતી. જિરીબામ પ્રશાસને 6ઠ્ઠીથી અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદ્યો હતો. દરમિયાન જિરીના ધારાસભ્ય અને મણિપુરના નવા ચૂંટાયેલા સાંસદ ડૉ. બિમોલ અકોઈજામે વધી રહેલી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

નવા ચૂંટાયેલા સાંસદનો આક્ષેપ, શહેરના છેવાડાના વિસ્તારમાં સુરક્ષા નથી
મણિપુરના જિરીબામમાં એક વ્યક્તિની હત્યા બાદ થયેલી હિંસા વચ્ચે શનિવારે સુરક્ષા દળો દ્વારા જિરીબામ જિલ્લામાં મૈતેઈ સમુદાયના 239 થી વધુ લોકોને તેમના ગામોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ગામમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોને જિરીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના રાહત શિબિરમાં રાખવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષક ઘનશ્યામ શર્માની બદલી કરવામાં આવી છે. રાહત શિબિરમાં આવેલા મોટાભાગના લોકો જિરીબામ શહેરથી 30 કિમીથી વધુ દૂર આવેલા ગ્રામીણ વિસ્તારોના રહેવાસી છે. દરમિયાન આંતરિક મણિપુર લોકસભા બેઠકના નવા ચૂંટાયેલા કોંગ્રેસના સાંસદ અંગોમચા બિમોલ અકોઈજામે રાજ્ય સરકારને જીરીબામ જિલ્લાના લોકોના જીવન અને સંપત્તિનું રક્ષણ કરવા વિનંતી કરી છે.

બહારના લોકોને સુરક્ષા આપવામાં આવી રહી નથી
શહેરના લોકોને સુરક્ષા આપવામાં આવી રહી છે પરંતુ બહારના વિસ્તારના લોકોને સુરક્ષા આપવામાં આવી રહી નથી. મણિપુરમાં મૈતેઇ સમુદાય અને કુકી આદિવાસી સમુદાયો વચ્ચે વંશીય સંઘર્ષ ગયા વર્ષે 3 મેના રોજ શરૂ થયો હતો.