April 30, 2024

દાંતીવાડા ડેમનું પાણી દાંતીવાડા ખેડૂતોને નથી મળતું!

રતનસિંહ ઠાકોર,બનાસકાંઠા: ચાલુ વર્ષે બનાસકાંઠાની જીવા દોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની આવક નોંધાઈ હતી. ઉપરવાસમાં સારો વરસાદ થવાની પગલે ડેમ છલકાયો હતો. જોકે અત્યારે ઉનાળો શરૂ થયો છે. ત્યારે દાંતીવાડા ડેમની જળ સપાટી 575 ફૂટ છે. દાંતીવાડા ડેમમાં સિંચાઈ માટે 33 ટકા જેટલો પાણીનો જથ્થો યથાવત છે. ડેમમાં સારા પાણીની આવક થતા શિયાળામાં તો ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળ્યું હતું, પરંતુ 15મી સુધી દાંતીવાડા ડેમની ચેનલ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે.

છેલ્લા કેટલાય વર્ષોથી ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. તેના કારણે ઉનાળામાં ખેડૂતોની સિંચાઈનું પાણી મળી શકતું ન હતું, ત્યારે ખેડૂતોને આ વર્ષે દાંતીવાડા ડેમની ચેનલ દ્વારા પાણી મળશે કે કેમ એવી ચિંતા હતી. સારી વાત એ છે કે દાંતીવાડા ડેમમાં હજુ 33% જથ્થો પાણીનો અનામત છે. આથી ઉનાળામાં પણ પાણી ચાલુ રહેશે. બનાસકાંઠા સહિત પાટણ જિલ્લાના ખેડૂતો દાંતીવાડા ડેમના પાણીનો લાભ લઈ રહ્યા છે.

આ પણ વાંચો: અયોધ્યામાં શ્રી રામનું સૂર્ય તિલક, પ્રભૂની મૂર્તિ ઝળહળી ઉઠી

દાંતીવાડા ડેમ વિસ્તારમાં જે ખેડૂતો છે. તેમને દાંતીવાડા વિસ્તારનું પાણી નહીવત કામ લાગે છે. આ ખેડુતોને વધુ પ્રમાણમાં પાટણ જિલ્લાનું પાણી કામ લાગે છે. આથી ડેમનું પાણી એ વિસ્તારના જ  ખેડૂતોને ન મળતું હોવાથી એક પ્રકારનો રોષ જોવા મળે છે. મહત્વનું છે કે દાંતીવાડા ડેમનું પાણી સીપુ ડેમમાં ઠાલવવામાં આવે તો દાંતીવાડા અને ધાનેરાના ખેડૂતોને પણ ખેતી કરવામાં પાણી ઉપયોગ થઈ શકે તેમ છે

નોંધનીય છે કે સીપુ ડેમમાં પાણી નહીવત છે. જે એક ચિંતાની વાત છે. દાંતીવાડા અને ધાનેરા તાલુકો સિદ્ધપુર ડેમ પર આધારિત છે એટલે દાંતીવાડા ડેમનું પાણી સીપુ ડેમમાં છોડવાની માગ થઈ છે. જેના કારણે દાંતીવાડા ડેમ પર આધારિત ખેડૂતોને પણ સિંચાઈનું પાણી મળી રહે.