October 24, 2024

ઓડિશા-બંગાળમાં રૌદ્ર રૂપ ધારણ કરી શકે છે વાવાઝોડું ‘દાના’, 500થી વધુ ટ્રેન રદ્દ

Cyclone DANA: ચક્રવાતી તોફાન ‘દાના’ને લઈને ઓડિશા અને બંગાળમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ‘દાના’ આજે ઓડિશા સાથે અથડાઈ શકે છે અને આવતીકાલે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અથડાવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાના આગમનને કારણે લોકોમાં ભારે ભયનો માહોલ છે. ચક્રવાત ‘દાના’ના કારણે ઓડિશા અને બંગાળના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

આ વાવાઝોડાને કારણે 500થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. પ્લેન પર 16 કલાક માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. NDRFની 50થી વધુ ટીમો તૈનાત કરવામાં આવી છે. ચક્રવાતી તોફાન ‘દાના’ના જોખમનો સામનો કરવા માટે ઓડિશાના કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી લગભગ 10 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સાવચેતીના પગલા તરીકે, પશ્ચિમ બંગાળમાં 1.14 લાખથી વધુ લોકોને પહેલેથી જ આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવ્યા છે. ચક્રવાતી તોફાન ‘દાના’ સંબંધિત મોટા અપડેટ્સ…

ચક્રવાતી વાવાઝોડા ‘દાના’ને ધ્યાનમાં રાખીને સુરક્ષા તૈયારીઓ પર નજર રાખતા, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું છે કે 30 ટકા લોકો (ત્રણ-ચાર લાખ) જોખમી ક્ષેત્રમાં રહે છે, તેમને બુધવારે સાંજે ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે જ્યારે આ વાવાઝોડું ઓડિશામાં ટકરાશે ત્યારે તેની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ વાવાઝોડાના પ્રકોપને ધ્યાનમાં રાખીને, પૂર્વ અને દક્ષિણ પૂર્વ રેલ્વેએ 24 અને 25 ઓક્ટોબરના રોજ મોટા પાયે ટ્રેનો રદ કરી છે.

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ તમામ ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં રહેવા વિનંતી કરી છે. ડોકટરોની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને તેમને તેમના સંબંધિત આરોગ્ય કેન્દ્રોમાં પાછા બોલાવવામાં આવ્યા છે.

‘દાના’ને ધ્યાનમાં રાખીને બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવાર સાંજથી 16 કલાક માટે ફ્લાઇટ ઑપરેશન સ્થગિત કરવામાં આવશે. એરપોર્ટની કામગીરી 24 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યાથી 25 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા સુધી સ્થગિત રહેશે.

આ પણ વાંચો: 5 રાજ્યો, 56 ટીમો અને પશ્ચિમ બંગાળ-ઓડિશા હાઈ એલર્ટ પર… જાણો ‘Dana’ ક્યારે દરિયાકાંઠે ટકરાશે

કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન પણ આજે સાંજે 5 વાગ્યાથી આવતીકાલે એટલે કે 25 ઓક્ટોબરે સવારે 9 વાગ્યા સુધી બંધ રહેશે. ઓડિશા અને બંગાળના ઘણા જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો 25-26 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવી છે.

ચક્રવાતી તોફાન ‘દાના’ને જોતા 552 ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. સાઉથ ઈસ્ટ રેલ્વેએ 150 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ 198 ટ્રેનો, ઈસ્ટર્ન રેલ્વેએ 190 ટ્રેનો અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેએ 14 ટ્રેનો રદ કરી છે.

NDRFએ ચક્રવાત ‘દાના’ને ધ્યાનમાં રાખીને ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં કુલ 56 ટીમો તૈનાત કરી છે. ચક્રવાત 24 થી 25 ઓક્ટોબરની વચ્ચે ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. આ ટીમો પાસે થાંભલા અને વૃક્ષો કાપવા માટેના સાધનો છે.