June 29, 2024

કામ નહીં કરનાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની CM Bhupendra Patelની ચીમકી

મલ્હાર વોરા, ગાંધીનગર: આજે કેબિનેટ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ મામલે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જો કે કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી તમામ અધિકારીઓને કડક શબ્દોમાં પોતાનું કામ યોગ્ય રીતે કરવાની સૂચના આપી હતી, જે અધિકારીઓ કામ નહીં કરે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સુધીની ચીમકી આપી હતી. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં ગેમિંગઝોનનાં નવા નીતિ નિયમો પર ચર્ચા કરીને તે નક્કી કરવામાં આવ્યા હતા.

સાંત સ્વભાવ તરીકે જાણીતા એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આજે રાજકોટ અગ્નિકાંડ મામલે અધિકારીઓ સમક્ષ લાલ આંખ કરી હતી. મુખ્યમંત્રીએ આજની કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સમજી વિચારીને કામ કરવાની સલાહ આપી હતી. જો કોઈ કર્મચારીઓ પોતાનું કામ યોગ્ય રીતે નહિ કરે તો તેમની સમક્ષ સખત પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન સેફટી (મોડલ રૂલ્સ)-2024 સૂચિત નિયમો તૈયાર કરાયા છે. જેમાં નાગરિકોના વાંધા-સૂચનો માટે મોડલ રૂલ્સ ગૃહ વિભાગની વેબસાઈટ પર મૂકાયા છે. મોડસ રૂલ્સ અંગે નાગરિકો આગામી 25 જૂન સુધી home@gujarat.gov.in પર પોતાના વાંધા-સૂચનો મેઈલ કરી શકશે.

આ પણ વાંચો: કેબિનેટ બેઠકમાં ‘નમો લક્ષ્મી યોજના’ અમલીકરણ મામલે કરાઈ ચર્ચા

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું છે કે, રાજકોટ ટીઆરપી ગેમઝોન ઘટના જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા “ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન એકટીવીટીઝ (સેફટી) રૂલ્સ-2024” બનાવવામાં આવ્યા છે. આ સૂચિત નિયમો રાજ્ય સરકારના ગૃહ વિભાગની વેબસાઈટ https://home.gujarat.gov.in/Upload/GAMINGZONE(MODELRULES2024FINALDRAFT%20_11062024.pdf પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

મંત્રીએ કહ્યું હતું કે, આ નિયમો અંગે કોઈપણ નાગરિક પોતાના વાંધા તથા સૂચનો મોકલી શકે છે. જે નાગરિકોએ આ બાબતે વાંધા-સૂચનો હોય તેમને આગામી. 25 જૂન સુધીમાં ગૃહ વિભાગના મેઈલ આઈડી home@gujarat.gov.in પર મોકલી આપવાના રહેશે. નિયત તારીખ એટલે કે 25 જૂન બાદ મળેલા સૂચનો-વાંધાઓ ધ્યાને લેવાશે નહીં. ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33 હેઠળ પોલીસ કમિશનર તથા જિલ્લા મેજિસ્ટ્રેટ આ અંગે નિયમો બનાવવાની સત્તા છે. તેઓ આ નિયમને આખરી કરશે તે બાદ તેને પ્રસિધ્ધ કરવામાં આવશે.

આ ઉપરાંત ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સીટ આગમી 20 જૂને રિપોર્ટ રાજ્ય સરકારને આપશે અને ત્યારબાદ આ રિપોર્ટ સરકાર કોર્ટમાં જમા કરશે પરતું રિપોર્ટમાં જે જવાબદાર હશે, તેમની સમક્ષ સખત પગલાં ભરવામાં આવશે. હાલમાં સીટ દ્રારા વિવિધ અધિકારીઓ તપાસ કરી છે. આ ઉપરાંત પ્રથમ રિપોર્ટમાં જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, હાલ પણ સીટ તપાસ કરી રહ્યું છે. જેમાં રાજકોટ મનપા કમિશનર સહિત પોલીસ કમીશ્નર દોષી દેખાશે તો તેમના વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે હાલ આ બને અધિકારી ની બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય અધિકારીઓ ની સંડોવણી નીકળશે તો તેમના વિરુદ્ધ સખત પગલાં ભરવામાં આવશે.