CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, ખેડૂતોને સિંચાઈનું પાણી એક મહિનો વહેલાં અપાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરૂં આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે તા.15 મે, 2025થી આપવામાં આવશે.
સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે તારીખ 15 જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. ખેડૂતોને જો સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેઓ વધુ ઉત્પાદન મળવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે.
મુખ્યમંત્રીના આ ખેડૂત હિતકારી નિર્ણયથી સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારના આશરે 13 લાખ ધરતીપુત્રોને સિંચાઈ સુવિધાનો સીધો લાભ મળશે. તેમજ પાક વહેલો થવાથી તેમને બજારમાં સારી ઉત્પાદન કિંમત મળશે. આ ઉપરાંત વધુ ઉત્પાદન થતા ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધિ થશે. આ ઉપરાંત ખેડૂતો ખાસ કરીને કપાસ જેવા પાકોનું આગોતરૂં આયોજન કરી શકશે. એટલું જ નહીં, ઉત્પાદન વધારા માટે આગોતરી વાવણી પણ કરી શકશે.