September 17, 2024

હરણી બોટ દુર્ઘટના મામલે બંને પૂર્વ કમિશનરોએ લીધું સુપ્રીમનું શરણું

વડોદરા: વડોદરાના ચકચારી હરણી બોટ દુર્ઘટના કેસને લઈને આજે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં બે પૂર્વ કમિશનરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. હરણી બોટ દુર્ઘટનાને લઈને હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસમાં હાઇકોર્ટે બંને પૂર્વ કમિશનરોને શોકોઝ નોટિસ ફટકારી હતી. આ નોટિસના વિરોધમાં બંને પૂર્વ કમિશનરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

મળતી માહિતી મુજબ, વડોદરા સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર ગોઝારા હરણી બોટ દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકો સહિત 12 જેટલા લોકોના હરણી તળાવમાં ડૂબી જતાં મોત થયા હતા. આ મામલે હાઇકોર્ટે કડક વલણ અપનાવીને વડોદરાના પૂર્વ કમિશનરોને શો-કોઝ નોટિસ ફટકારી હતી. ગુજરાત હાઇકોર્ટે વડોદરાના પૂર્વ કમિશનર વિનોદ રાવ અને એચ.એસ. પટેલ ગત 19 જુલાઇના રોજ શો-કોઝ નોટિસ ફટકારી હતી. જેની સામે બંનેએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેને લઈને એડવોકેટ જનરલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં માહિતી આપવામાં આવી છે.