May 9, 2024

Gyanvapi Masjid: જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પૂજા કરવાની પરવાનગી મળી

વારાણસી : ઉત્તર પ્રદેશની વારાણસી જિલ્લા અદાલતે જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં વ્યાસજીને ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવાનો આદેશ આપ્યો છે. હિંદુ પક્ષના વકીલ મોહન યાદવે આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે વ્યાસજીના પૌત્ર શૈલેન્દ્ર પાઠકને ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. તેમણે કહ્યું કે સાત દિવસમાં પૂજા કરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે અને પૂજા કરાવવાનું કામ કાશી વિશ્વનાથ ટ્રસ્ટ કરશે.

વધુમાં યાદવે કહ્યું કે જ્ઞાનવાપીની સામે બેઠેલા નંદી મહારાજની સામે રસ્તો ખોલવામાં આવશે. નોંધનીય છે કે વ્યાસ પરિવારે કોર્ટમાં મસ્જિદના ભોંયરામાં પૂજા કરવાની માંગણી કરી હતી. આ માંગને જિલ્લા ન્યાયાધીશ કોર્ટે સ્વીકારી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે વ્યાસનો પરિવાર 31 વર્ષ પહેલા મસ્જિદના ભોંયરામાં પૂજા કરતો હતો. જોકે, રાજ્ય સરકારના આદેશ બાદ 1993માં ભોંયરું બંધ કરવામાં આવ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટે રાખી સિંહની અરજી પર જ્ઞાનવાપી મસ્જિદની અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ સમિતિને 30 જાન્યુઆરીએ નોટિસ જારી કરી છે. બીજી બાજુ રાખી સિંહે 21 ઓક્ટોબર 2023ના રોજ વારાણસી કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને પડકાર્યો હતો.

કોર્ટે મસ્જિદ કમિટીને નોટિસ ફટકારી
જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની કોર્ટ દ્વારા અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીને નોટિસ ફટકારી હતી અને આ કેસ વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પેન્ડિંગ છે. વારાણસી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રાખી સિંહે પ્રાથમિક દલીલમાં કહ્યું હતું કે વિવાદિત સંપત્તિનું ધાર્મિક ચરિત્ર નક્કી કરવા માટે શિવલિંગ સિવાય વુજુખાનાનો સર્વે કરાવવો જરૂરી છે.

રાખી સિંહની અરજી ફગાવી દેતા જિલ્લા ન્યાયાધીશે શું કહ્યું?
રાખી સિંની અરજીને ફગાવી દેતાં વારાણસીના જિલ્લા ન્યાયાધીશે પોતાના આદેશમાં કહ્યું હતું કે 17 મે 2022ના રોજ સુપ્રીમ કોર્ટે જ્યાંથી કથિત શિવલિંગ મળી આવ્યું હતું તે વિસ્તારનું યોગ્ય સંરક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેથી એએસઆઈને તે વિસ્તારનો સર્વે કરવાની સૂચના આપવી યોગ્ય નથી, કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થશે. નોંધનીય છે કે અગાઉ 23 જાન્યુઆરીએ જસ્ટિસ મનીષ નિગમે આ કેસની સુનાવણીમાંથી પોતે ખસી ગયા હતા. ત્યારબાદ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલને CJI મારફતે આ કેસની સુનાવણી માટે નામાંકિત કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 21 જુલાઈએ વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ASIને સંપૂર્ણ વૈજ્ઞાનિક સર્વે કરવાનો નિર્દેશ આપ્યો હતો. આમાં એ જાણવાનું છે કે કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલી જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ મંદિર ઉપર કરવામાં આવ્યું છે કે નહીં?