May 18, 2024

Bharat Ratna: મોદી સરકારના રાજમાં આ મહાનુભાવોને મળ્યા ભારતરત્ન

નવી દિલ્હી :  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જાહેરાત કરી હતી કે ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જાણકારી આપી છે. પીએમ મોદીએ કહ્યું કે લાલકૃષ્ણ અડવાણી આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક છે અને ભારતના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન છે. પીએમ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ અત્યાર સુધી સાત લોકોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે. જેમાં 2015માં અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવિયાને ભારત રત્ન એનાયત કરવમાં આવ્યો હતો. વર્ષ 2019માં પ્રણવ મુખર્જી, ગાયક ભૂપેન હજારિકા અને સામાજિક કાર્યકર નાનાજી દેશમુખને ભારત રત્ન આપવામાં આવ્યો હતો અને તાજેતરમાં 2024માં કર્પૂરી ઠાકુર અને લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.

ક્યારે થઇ ભારત રત્નની શરુઆત
ભારત રત્નની શરુઆત 2 જાન્યુઆરી 1954થી કરવામાં આવી છે. સૌથી પહેલું સન્માન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, બીજો રાષ્ટ્રપતિ ડૉ. સર્વોપલ્લી રાધાકૃષ્ણન અને ત્રીજો ચંદ્રશેખર વેંકટ રમનને આપવામાં આવ્યો હતો.