October 16, 2024

બાંગ્લાદેશમાં મૂર્તિ વિસર્જન માટે જઈ રહેલા લોકો પર પથ્થરમારો, એક પોલીસ સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

Bangladesh: બાંગ્લાદેશમાં નવરાત્રિ દરમિયાન હિંદુઓ પર હુમલા અને પૂજા મંડપની તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી. હવે વિજયાદશમીના દિવસે હિંદુ સમુદાય અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર છે. દુર્ગા પૂજા ઉત્સવની સમાપ્તિ પછી, મુસ્લિમ સમુદાયના લોકોએ મૂર્તિ વિસર્જન માટે જઈ રહેલા લોકો પર પથ્થરમારો કર્યો. જ્યારે હિંદુ સમુદાયના લોકોએ જવાબી કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ ઘટના રવિવારે રાત્રે બની હતી.

મળતી માહિતી અનુસાર જૂના ઢાકાના પટુઆતુલી વિસ્તારમાં સ્થિત નૂર સુપર માર્કેટની છત પરથી બદમાશોએ મૂર્તિ વિસર્જન માટે જઈ રહેલા લોકો પર ઈંટો ફેંકી હતી. હિંદુ સમુદાયના લોકો બુધીગંગા નદીમાં મૂર્તિનું વિસર્જન કરવા જઈ રહ્યા હતા. આ હુમલામાં એક પોલીસ અધિકારી સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ વિસ્તારમાં કોમી તણાવની સ્થિતિ છે.

સેનાએ ભીડને વિખેરી નાખી
ઘટના બાદ હિંદુ સમુદાયના લોકોએ નૂર સુપર માર્કેટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને રોક્યા. કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મોહમ્મદ ઈનામુલ હસને જણાવ્યું કે, ‘સ્થાનિક લોકોએ માર્કેટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. બજારની સુરક્ષા માટે અમે તેમને ત્યાં પ્રવેશતા અટકાવ્યા હતા. જેના કારણે અથડામણ થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પથ્થરમારામાં દુર્ગા માતાની મૂર્તિ પણ તૂટી ગઈ હતી.

હસને કહ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ જતાં પોલીસે સેનાને જાણ કરી. ત્યારબાદ સૈનિકો ઘટનાસ્થળે પહોંચ્યા અને ભીડને વિખેરી નાખી. તેમણે કહ્યું કે, ‘સ્થિતિ હવે ઘણી હદ સુધી નિયંત્રણમાં છે.’ જો કે આ ઘટનાને લઈને હિંદુ સમુદાય હજુ પણ નારાજ છે. વહીવટીતંત્ર આ ઘટનાની તપાસમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસની વધારવામાં આવી સુરક્ષા

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલાની ભારતે નિંદા કરી હતી
અગાઉ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા મંડપ પર હુમલા અને મંદિરમાંથી મુગટની ચોરીને લઈને હોબાળો થયો હતો. બે દિવસ પહેલા કેટલાક બદમાશોએ દુર્ગા પૂજા મંડપ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. બાદમાં તેમાંથી એકે છરી વડે અનેક લોકોને ઘાયલ કર્યા હતા. આ ઉપરાંત, કાલી મંદિરમાંથી માતાનો મુગટ ચોરાઈ ગયો હતો. જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન મંદિરને ભેટમાં આપ્યો હતો. આ ઘટના પર ભારતે બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમજ દુર્ગા પૂજા દરમિયાન મંદિરો અને મંડપોમાં સુરક્ષા વધારવા અપીલ કરવામાં આવી હતી.