September 12, 2024

બનાસકાંઠામાં મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા બે લોકોની ધરપકડ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાના ડીસામાં વશીકરણ મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા બે ઈસમોની ડીસા પોલીસે ધરપકડ કરી છે. ડીસામાં એક રૂમ ભાડે રાખી અને છેલ્લા દોઢ વર્ષથી 15 લોકોને શિકાર બનાવ્યા છે. જો કે, મેલી વિદ્યાના નામે અલગ અલગ ભાવથી લોકો સાથે છેતરપિંડી કરનારાની પોલીસે ધરપકડ કરી છે.

ડીસામાં અમદાવાદના બે યુવકો ભૂવા બની અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. છેલ્લા દોઢ વર્ષથી ડીસામાં રૂમ ભાડે રાખી અને અમદાવાદના પીન્ટુ કિશોર ભાર્ગવ જોશી અને રોહિત બુધારામ ભાર્ગવ બંને રૂમ ભાડે રાખી અને ત્યાં મેલી વિદ્યાનો સામાન અને સજાવટ કરી અને પેમ્પલેટથી લોકોને ગુમરાહ કરતા હતા. જો કે, છેલ્લા દોઢ વર્ષથી આ આરોપીઓએ 15 લોકોને શિકાર બનાવ્યા છે અને 15 લોકો સાથે છેતરપિંડી કરી છે, જે તેઓ કબુલાત કરી રહ્યા છે.

છેતરપિંડીની આ સમગ્ર ઘટનાનો અને વશીકરણની ઘટનાનો પર્દાફાશ દિશાના વકીલ ધર્મેન્દ્રએ કર્યો છે. તેઓ એક પેમ્પલેટમાં માજીસા દર્શન જ્યોતિષની જાહેરાત જોઈ હતી. જેમાં વશીકરણ અને અનેક પ્રશ્નોનું નિવારણ લાવી આપતા હોવાની જાહેરાત હતી. જેથી વકીલે આરોપીના ફોન નંબર પર ફોન કર્યો હતો અને ત્યારબાદ આરોપીએ પીન્ટુએ કચ્છી કોલોની કૃષ્ણનગરમાં આ વકીલને બોલાવ્યા હતા. ત્યાં ભગવાન કપડામાં સજ્જ આરોપીઓ અને જે રૂમમાં ગાદી ઉપર દેવી-દેવતાઓના ફોટા હતા અને ત્યાં આ વશીકરણ કરતા હતા.

વશીકરણ અને છેતરપિંડીના નામે અને તાંત્રિક વિદ્યાના નામે મૂઠ-ચોટ કરી મારી નાખવાના 27,000, લકવો કરવાના 11,000 અને વશીકરણ કરવાના 11,000 આમ અલગ અલગ ભાવ રાખ્યા હતા. જો કે, આરોપીઓ પહેલા બુકિંગ કરતા અને બીજા દિવસે પૈસા લઈને આવવાનું કહેતા હતા. સો રૂપિયા બુકિંગ પેટે પણ લેતા અને ત્યારબાદ પૈસા લઈ આવી અને કામ કરવાનું કહેતા હતા. જો કે, આ વકીલને શંકા જતા તેમણે ડીસાના દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ આપી હતી અને જેને આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.

તાંત્રિક વિધિ અને વશીકરણના નામે લોકોને ગુમરાહ કરવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. ત્યારે પોલીસે પીન્ટુ જોશી અને રોહિતરામ ભાર્ગવની ધરપકડ કરી હતી. પોલીસે તેમના મેળવવાની પણ તજવીજ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં પણ આ બંને આરોપીઓ લોકો સાથે છેતરપિંડી કરતા હતા. તેને આધારે પોલીસે તેમની ધરપકડ કરી છે. પોલીસની પણ એક અપીલ છે કે, આવા લોકો ક્યાંય પણ દેખાય અથવા છેતરપિંડી કરતા હોય તો પોલીસને પણ લોકો જાણ કરે જેથી કાર્યવાહી કરી શકાય.