September 29, 2024

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત 5આરોપીઓના જામીન નામંજૂર

સાગર ઠાકર, જુનાગઢ: ગોંડલના ચકચારી NSUI શહેર પ્રમુખના અપરહણનો કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા સહીતના પાંચ આરોપીઓએ જામીન અરજી કરી હતી. આજે તેમની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે તમામ આરોપીઓના જામીન ફગાવી દીધા હતા.

મહત્વનું છે કે, જુનાગઢના ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે ફરિયાદ થઇ હતી. જેમા ગણેશ ગેંગના ત્રણ સાગરીતોને જુનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ દ્વારા NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. તારીખ 30 મેની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતો દ્વારા જુનાગઢ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવાનું સામે આવ્યુ હતુ.

જેમાં ગોંડલના હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજાએ તેના કેટલાક લોકો સાથે મળીને સંજય સોલંકીનું અપહરણ કરી હત્યાની કોશિશ કર્યાની ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.