અરવલ્લીમાં રેલવે લાઇન માટે ખેડૂતોએ જમીન આપી, હવે પાક લઈ જવા રસ્તો બંધ થતા ખેડૂતોમાં રોષ

સંકેત પટેલ, અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામની સીમમાંથી રેલવે લાઈન પસાર થઈ રહી છે. આ રેલ્વે લાઈનમાં ખેડૂતોએ પોતાની કિંમતી જમીનો સંપાદનમાં આપી છે. પરંતુ ત્યારબાદ પણ ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો નહીં મળવાના અભાવે હાલ ખેડૂતો લાચાર બન્યા છે. રવી સિઝનમાં પકવેલો પાક હાલ કેવી રીતે ઘરો સુધી લઈ જવો તે એક મોટો સવાલ ઉભો થયો છે. એવા સંજોગોમાં આ ખેડૂતો બાપડા બિચારા બની તંત્ર પાસે ન્યાયની માગણી કરી રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં જગતને જીવાડનારો ખેડૂત જ લાચાર બની રસ્તા માટે માગણી કરી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામ પાસે થઈ રેલ્વે લાઈન પસાર થઈ રહી છે. આ રેલ્વે લાઈનમાં ખેડૂતોની જમીનો સંપાદન કરવામાં આવી છે. વિકાસના આ કામમાં ખેડૂતોએ જમીનો આપી દીધી છે. પરંતુ તંત્ર દ્વારા ખેડૂતો પ્રત્યે કોઈપણ જાતનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. રેલવે લાઇન પસાર તો થઈ પરંતુ ખેડૂતોનો રસ્તો બંધ થઈ ગયો છે. હાલ આ રેલ્વે લાઈનની આસપાસ 128 વીઘા જમીન આવેલી છે. જેમાં 25થી વધુ ખેડૂતોએ ઘઉં મકાઈ જેવા જુદા જુદા પાકોનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ પાક તૈયાર થઈ ચૂક્યો છે. તેવામાં હવે રસ્તો નહીં હોવાના કારણે આ પાક કેવી રીતે ઘર સુધી લઈ જવો તે મોટી સમસ્યા છે.

ખેડૂતોએ આ અંગે વારંવાર કલેક્ટર સહિત રેલવે વિભાગમાં પણ જાણ કરી હોવા છતાં આજદિન સુધી આ ખેડૂતોના પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો નથી. જેને લઈને ખેડૂતો રોષે ભરાયા છે અને આવનારા દિવસોમાં રસ્તાનો નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલન અને આત્મવિલોપનની પણ ચીમકી આ ખેડૂતોએ ઉચ્ચારી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, આ અંગે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર પણ ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે. તેવા સંજોગોમાં ખેડૂતો બાપડા બિચારા બની ગયા છે અને તંત્ર પાસે ન્યાયની આશા રાખી રસ્તાની માગણી કરી રહ્યા છે.