September 21, 2024

અરવલ્લીના મોડાસામાં યોજાઈ ‘વૃક્ષ કાવડ યાત્રા’, અનોખા સંદેશ સાથે આયોજન

સંકેત પટેલ, અરવલ્લીઃ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ‘વૃક્ષ કાવડ યાત્રા’ યોજવામાં આવી હતી. અરવલ્લીના મોડાસા શહેરમાં ભવ્ય ‘વૃક્ષ કાવડ યાત્રા’ નીકળી હતી.ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ મોડાસાએ આ યાત્રાનું આયોજન કર્યું હતું.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાન્તિકુંજ હરિદ્વાર પ્રેરિત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી ટીમ દ્વારા છેલ્લા 164 રવિવારથી પ્રાણવાન સન્ડે અંતર્ગત વૃક્ષારોપણ ઝૂંબેશ ચલાવવામાં આવે છે. જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે.

આ અભિયાનથી મોડાસા ક્ષેત્રના વિવિધ 40 વિસ્તારોમાં ‘મારું ઘર, મારું વૃક્ષ’ નામે વૃક્ષારોપણ કાર્યક્રમ કાર્યક્રમ થઈ ચૂક્યા છે. જેમાં 1700 વૃક્ષ તરુપુત્ર, તરુમિત્રના ભાવ – સંકલ્પ સાથે વાવવામાં આવ્યું છે. જે 80 ટકા રોપાઓ મોટા વૃક્ષ થઈ રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં જળાભિષેકને લઈ કાવડ યાત્રાનો મહિમા વર્ષોથી પ્રચલિત છે. જે અનુરૂપ જન-જનને પર્યાવરણ બચાવ-વૃક્ષારોપણ જાગૃતિ માટે વિશેષ સંદેશ આપવા ‘વૃક્ષ કાવડ યાત્રા’નું સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર મોડાસામાં આયોજન કરવામાં આવ્યું હતું. શાન્તિકુંજ હરિદ્વારથી યુવા અગ્રણી તેમજ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના પ્રતિકૂલપતિ ડૉ. ચિન્મય પંડ્યાજીએ શુભકામનાઓ પાઠવવા જણાવ્યું કે, ઈશ્વર કણ કણમાં વ્યાપ્ત છે. આ ભાવનાથી નીકળેલી આ વૃક્ષ કાવડ યાત્રાથી લોકોના જીવનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે વિશેષ ભાવ જાગૃત થાય.

આ વૃક્ષ કાવડ યાત્રા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રથી શુભારંભ થયો હતો. સ્થાનિક અગ્રણીઓ દ્વારા વૃક્ષ રથનું પૂજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠે લીલી ઝંડી આપી આ યાત્રાનું પ્રસ્થાન કર્યું હતું. યુવાઓ ખભે કાવડમાં શિવજીને પ્રિય એવા વૃક્ષોના રોપાઓ લઈ ચાલતા રહ્યાં. અનેકના હાથમાં પર્યાવરણ બચાવ-વૃક્ષારોપણ જતન માટેના સદ્વાક્યોના બેનર હાથમાં લઈ પર્યાવરણ બચાવ-વૃક્ષારોપણ ઝુંબેશ માટેના નારાઓથી સંદેશ આપતા રહ્યાં.

શહેરના મહત્વના માર્ગો પર આ યાત્રા પસાર થઈ હતી. માલપુર રોડ, આઈટીઆઈ, પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી-શ્રીરામ મત્ત માર્ગ, પંચજ્યોત, ગોપાલ સોસાયટી થઈ રામ પાર્ક વિસ્તારના સોમનાથ મહાદેવે સમાપન કરવામાં આવ્યું હતું. રસ્તામાં આવતા મહાદેવ મંદિરમાં તેમજ છેલ્લે સોમનાથ મહાદેવને ગંગાજળથી જળાભિષેક તેમજ રસ્તામાં અનેક સ્થાનો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રસ્તામાં જનતાને તરુપ્રસાદ રુપે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોડાસામાં જીપીવાયજી દ્વારા છેલ્લા 164 રવિવારથી વૃક્ષારોપણ જાગૃતિ ઝૂંબેશ ચાલી રહી છે. આ સંદર્ભે મોડાસાના અલગ અલગ 40 વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. 1700 જેટલા છોડ વાવવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, આણંદ સહિત ગુજરાતમાં અન્ય સ્થાનો પર પણ ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા આ રીતે પર્યાવરણ બચાવ-વૃક્ષારોપણ જતન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે.