September 20, 2024

UPમાં વધુ એક ટ્રેન અકસ્માત; સહારનપુરમાં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી

UP Train Accident: દિલ્હી અને સહારનપુર વચ્ચે ચાલતી મેમુ ટ્રેન રવિવારે પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ટ્રેનમાં કોઈ મુસાફરો ન હતા. રવિવારે બપોરે 1.30 થી 2 વાગ્યાની વચ્ચે, દિલ્હી અને સહારનપુર વચ્ચે ચાલતી ટ્રેન નંબર 01619, વાંશિગ લાઇન પરથી પસાર થતી વખતે પાટા પરથી ઉતરી ગઈ હતી. રવિવારે ટ્રેન સહારનપુર સ્ટેશને તેના નિર્ધારિત સમય કરતા દોઢ કલાક મોડી પહોંચી હતી. સહારનપુરમાં ટ્રેનનો આવવાનો સમય સવારે 10.55 છે.

ટ્રેન બપોરે 12.26 વાગ્યે સહારનપુર પહોંચી. ખાલી કર્યા બાદ ટ્રેનને વોશિંગ લાઈનમાં લઈ જવામાં આવી રહી હતી. જેવી ટ્રેન શારદા નગર પુલની નીચે પહોંચી કે તરત જ તે પાટા પરથી ઉતરી ગઈ. પાટા પરથી ઉતરતાની સાથે જ જોરદાર અવાજ આવ્યો. આ પછી આસપાસના લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકો પાયલોટે કંટ્રોલ રૂમને અકસ્માતની જાણ કરી હતી. કંટ્રોલ રૂમમાંથી માહિતી મળ્યા બાદ રેલ્વે અધિકારીઓ ટેક્નિકલ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ પછી રેલવે અધિકારીઓ અને કર્મચારીઓએ મળીને ટ્રેનને પાટા પર લાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જેકનો ઉપયોગ કરીને ટ્રેનને ઉપાડીને ટ્રેક પર લાવવામાં આવી હતી. પાંચ વાગે ટ્રેનને પાછી પાટા પર લાવવામાં આવી હતી. ટ્રેન મેઈન લાઈનમાં ન હોવાને કારણે રેલવેની કામગીરી પર ખાસ અસર થઈ ન હતી.

સાંસદ ઈમરાન મસૂદ ઘટનાસ્થળે પહોંચ્યા
ટ્રેન પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતા જ સાંસદ ઈમરાન મસૂદ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશભરમાં દરરોજ ટ્રેનો પાટા પરથી ઉતરી રહી છે. અકસ્માતના કારણે સામાન્ય લોકો ટ્રેનમાં ચઢતા ડરે છે. રેલ મંત્રી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે રેલ્વે મંત્રી પોતાને મૂર્ખ બનાવી રહ્યા છે. તેઓએ રેલ્વે અકસ્માતો સામે પગલાં લેવા જોઈએ અને તેને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ.