આણંદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સેવા ટ્રસ્ટના કાર્યાલયનું ભૂમિપૂજન

આણંદઃ માધવ સેવા ટ્રસ્ટ સમાજમાં સ્વાસ્થ્ય, શિક્ષા, સંસ્કાર, સ્વાવલંબન અને સંગઠનના કાર્યમાં પ્રવૃત છે. ટ્રસ્ટના આણંદ કાર્યાલયનું ભૂમિપૂજન આજ રોજ યુગાબ્દ 5126, વિક્રમ સંવત 2081 ફાગણ સુદ સાતમ, ગુરુવાર દિનાંક 06/03/2025ના શુભ દિવસે સવારે 10:00 કલાકે આણંદના બોરસદ ચોકડી પાસે આવેલા સાંગોળપુરા ગામના રાધેશ્યામ પાર્ટી પ્લોટની પાછળ યોજવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સંઘચાલક ભરતભાઇ પટેલ, માધવ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હસમુખભાઈ પટેલ તથા આણંદ જિલ્લા અને વિસ્તારના સંઘચાલકજીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અખિલ ભારતીય બૌદ્ધિક શિક્ષણ પ્રમુખ સુનીલભાઈ મહેતા, પશ્ચિમ ક્ષેત્રના સહ ક્ષેત્ર પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય, ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેશભાઈ, પ્રાંત પ્રચારક નિમેશભાઈ પટેલ તથા વિભિન્ન સામાજિક સંસ્થાઓના કાર્યકર્તાઓ, સરદાર પટેલ યુનિવર્સિટીના ઉપકુલપતિ નિરંજનભાઈ પટેલ, આણંદ, સોજીત્રા અને પેટલાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યો યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ તથા કમલેશભાઈ પટેલ અને આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ તથા સમગ્ર હિન્દુ સમાજના અગ્રગણ્ય મહાનુભાવો આ શુભ કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા.