September 21, 2024

હિંમતનગરના ગાંભોઈમાં હાથીના દર્શન કરવા જતા વૃદ્ધે રૂ. 30 લાખ ગુમાવ્યા

હિંમતનગર: સામાન્ય રીતે આજની તારીખે પણ ગ્રામ્ય વિસ્તારમાં હાથી સાથે સાધુઓ આવે તો લોકો શ્રદ્ધા ભાવથી નમે પણ છે અને દાન દક્ષિણા પણ આપતા હોય છે. જોકે સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં હાથીના દર્શન કરવા જતા એક પરિવારે રૂપિયા 30 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની અટકાયત કરી મુદ્દામાલ રીકવર કર્યો છે.

સાબરકાંઠાના ગાંભોઈના રામપુર ગામના મનોહરસિંહ ચૌહાણ નિવૃત્ત બેંક કર્મચારી છે. જેમને 15 દિવસ અગાઉ હાથી સાથે નીકળેલા ચાર સાધુઓએ રસ્તામાં રોકી રૂ. 100 ની દક્ષિણા માગી હતી. જોકે ત્યારબાદ તેમની રૂ. 3,000 ઘીના ડબ્બા પેટે માંગ્યા હતા. જે આપતા ચાર સાધુઓએ અલગ-અલગ દિવસે ફરિયાદીના ઘર સુધી પહોંચી તાંત્રિક વિધિની શરૂઆત કરી હતી. સાથોસાથ આરોપીઓએ ઘર ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ થયા હોવાનું જણાવી આગામી સમયમાં જો કોઈપણ અયોગ્ય કામ થશે તો ઘરના તમામ લોકોનું મૃત્યુ થવાનો ભય બતાવ્યો હતો. જોકે મૃત્યુ થવાના ભય બતાવતા મનોહરસિંહ ચૌહાણ દ્વારા 15 દિવસમાં રૂપિયા 30 લાખ જેટલી રકમ ચાર આરોપીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ લેવાઈ હતી. જો કે આ મામલે હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીની અટકાયત કરી છે તેમજ અન્ય એકની શોધખોડ હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરતમાં 5 કરોડની લૂંટના આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા

હાલના સમયમાં હાથીને સાથે રાખી અલગ-અલગ લોકો સાધુનો વેશ ધારણ કરી જીવન નિર્વાહ કરતા હોય છે તેમજ હાથીના જીવનનિર્વાહની સાથોસાથ પોતાનું જીવન પણ ગુજારતા હોય છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં હાથીને ભાડે રાખી રૂપિયા 30 લાખ અંધશ્રદ્ધાના નામે ઉડાવી લેવાનું કાવતરું કરનારા ચાર સામે ફરિયાદ નોંધાય છે. આવા લોકો અંધશ્રદ્ધાના નામે લોકોને વૈભવિત કરતા હોય છે તેમજ વયથી પીડિત લોકોને પરિવાર ઉપર અમંગલ થવાનું સૂચવી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અંધશ્રદ્ધાન નિર્મૂલન કાયદો બનાવ્યો હોવા છતાં સાબરકાંઠામાં થયેલો આ બનાવ આગામી સમય માટે ગંભીર બની શકે તેમ છે.

આગામી સમયમાં આ મામલે ગુજરાત સરકારે અંધશ્રદ્ધાને દૂર કરવા માટે કાયદાકિય સ્વરૂપ આપ્યું છે. આ મામલે પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી તેમની સામે ઠોસ કાર્યવાહી કરશે તો જ અંધશ્રદ્ધાનો કાયદો ખરા અર્થમાં સાચો સાબિત થશે તે નક્કી છે.