અમરોલી સામુહિક આપઘાત કેસમાં સુસાઇડ નોટના આધારે 3 આરોપીની ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે મંદીના કારણે આર્થિક સંકળામણમાં આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. સુરતમાં અમરોલી વિસ્તારમાં રહેતા ભરત શશાંગિયા, તેમનો દીકરો હર્ષ અને પત્ની વનિતાબેને પોતાના જ ઝેરે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા પરિવારે લખેલી સ્યુસાઇડ નોટમાં મકાન ખરીદનાર વ્યક્તિ ટોકન પેટે આપેલા પૈસા પરત માગવા દબાણ કરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા મકાન ખરીદનાર પિતા-પુત્ર તેમજ દલાલની સામે ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં એન્ટિલિયા ફ્લેટમાં ભરત શશાંગીયા પોતાના પરિવાર સાથે રહેતા હતા. ભરતભાઈની સાથે તેમનો દીકરો હર્ષ અને પત્ની વનિતાબેન રહેતા હતા. ભરતભાઈ અને તેનો દીકરો હર્ષ બંને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા હતા અને વર્ષોથી હીરા ઉદ્યોગ સાથે જોડાઈને પરિવારનો ગુજરાન ચલાવતા હતા, પરંતુ હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે ભરતભાઈ ડાયમંડ ઉદ્યોગ છોડીને સિક્યુરિટી ગાર્ડની નોકરી પસંદ કરી હતી. તો બીજી તરફ તેમના દીકરા હર્ષ દ્વારા પણ ડાયમંડની નોકરી છોડી દેવામાં આવી હતી અને ખાનગી બેંકના લોન ડિપાર્ટમેન્ટમાં તે પોતાનું કામ કરી રહ્યો હતો.
ભરતભાઈનો પરિવાર છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણમાં હતો. કારણ કે હીરા ઉદ્યોગમાં મંદિર હોવાના કારણે પરિવારના સભ્યો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભરતભાઈ જે મકાનમાં રહેતા હતા તે મકાન બેંકમાંથી લોન લઈને ખરીદવામાં આવ્યું હતું અને હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે ભરતભાઈની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તે બેંકમાંથી લીધેલી લોનના હપ્તા પણ સમયસર ભરી શકતા ન હતા અને એટલા માટે બેંક દ્વારા પણ હપ્તા ભરવા માટે ભરતભાઈ અને તેના પરિવાર પર દબાણ કરવામાં આવતું હતું.
આર્થિક સંકણામણમાં મુકાયેલા ભરતભાઈ દ્વારા પોતાનો લોન પર રહેલો ફ્લેટ કોઈને વેચી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હિતેશ નામનો વ્યક્તિ ભરતભાઈનું મકાન લેવા માટે તૈયાર થયો હતો અને હિતેશ દ્વારા ભરતભાઈના પરિવારના સભ્યોને મકાન માટે ટોકન સ્વરૂપે એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ કોઈ કારણોસર હિતેશ દ્વારા મકાન ખરીદવાનું ટાળવામાં આવ્યું હતું અને ટોકનના રૂપિયા પરત માગવામાં આવ્યા હતા. હિતેશ દ્વારા ટોકનના રૂપિયા પરત લેવા માટે ભરતભાઈ અને તેના પરિવાર પર દબાણ કરવામાં આવતું હતું અને તેમના ઘરમાં ઘૂસીને માર મારવાની ધમકી પણ આપવામાં આવતી હતીમ તેથી આર્થિક સંકળામણમાં મુકાયેલા ભરતભાઈ અને તેના પરિવારના સભ્યો દ્વારા 7 માર્ચના રોજ રાત્રે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
આપઘાત કરતા પહેલા પરિવારના સભ્યો દ્વારા સ્યુસાઇડ નોટ લખવામાં આવી હતી અને તેમાં પણ મકાન ખરીદનાર વ્યક્તિ દ્વારા પૈસા માટે દબાણ કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ કરાયો છે અને આ વ્યક્તિના દબાણના કારણે પરિવારના સભ્યોએ આપઘાત કર્યો હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ભરતભાઈ અને તેના પરિવારના સભ્યો દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની જાણ થતા સગા સંબંધીઓ દ્વારા તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.
આ સમગ્ર ઘટનાને લઈને અમરોલી પોલીસ દ્વારા ત્રણ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડી સમગ્ર મામલે સ્યુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોના આપઘાતના પગલે અમરોલી પોલીસ દ્વારા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને દલાલ રાજુ આંબલીયા, મકાન ખરીદનાર હિતેશ પટેલ અને તેના પિતા સંજય પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, ભરતભાઈ દ્વારા તેનું મકાન 22 લાખમાં હિતેશ પટેલને વેચવામાં આવ્યું હતું. જેમાં દલાલ તરીકે રાજુ આંબલીયાની ભૂમિકા સામે આવી હતી અને દલાલ મારફતે 1 લાખ રૂપિયાનું ટોકન હિતેશ પટેલે ભરતભાઈને આપ્યું હતું. બીજી તરફ મકાનના હપ્તા બાઉન્સ થયા હોવાની માહિતી હિતેશ પટેલને મળતા તેમને આસોદો કેન્સલ કરી નાખ્યો હતો અને એક લાખ રૂપિયા ટોકન પેટે આપ્યા હતા તે પરત માગ્યા હતા. પરિવાર પૈસા ન આપી શકતા મકાન ખરીદનાર હિતેશ તેના પિતા સંજય અને દલાલ રાજુ આંબલીયા દ્વારા પરિવારના સભ્યોને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને ઘરે આવીને માર મારવાની ધમકી પણ આપવામાં આવતી હતી. આ જ ઉઘરાણીના કારણે પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.