September 19, 2024

અંબાજીમાં હૈયાથી હૈયું દળાય તેવી ભીડ, ચોથા દિવસે 6 લાખ માઇભક્તોએ કર્યા દર્શન

અંબાજીઃ ભાદરવી પૂનમના મહામેળાનો આજે ચોથો દિવસ છે. આજે પણ મોટી સંખ્યામાં પદયાત્રિકોએ અંબાજી મંદિરે માતાજીના દર્શન કર્યા હતા. જેમાં આજે 6 લાખ કરતાં વધુ યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા હતા. અત્યાર સુધી છેલ્લા ચાર દિવસમાં અંબાજી મંદિરે 16 લાખ કરંતા વધુ પદયાત્રી સહિત માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ગુજરાત અને દેશભરમાંથી માઇભક્તો અનેરા ઉત્સાહ અને થનગનાટ સાથે અંબાજી આવી રહ્યા છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સુવિધાઓ, સવલતો અને વ્યવસ્થાઓ સચવાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

મેળામાં પદયાત્રીઓ, સંઘો સાથે વૃદ્ધો, વડીલો અને દિવ્યાંગ માઇભક્તો પણ મા અંબાને માથું ટેકવવા અને આશીર્વાદ મેળવવા આવતા હોય છે. વૃદ્ધો, અશક્તો, વડીલો અને દિવ્યાંગ માઇભક્તો પ્રત્યે વહીવટીતંત્રએ સંવેદના દાખવી તેમના માટે દર્શનની અલાયદી વ્યવસ્થા ગોઠવી છે. તેમજ ચાલી ન શકનારા અને અશક્ત યાત્રિકો માટે વ્હિલચેરની સુવિધા રાખવામાં આવી છે. શારીરિક રીતે અશક્ત માઇભક્તો માટે આ સુવિધા આશીર્વાદરૂપ બની છે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આવા અશક્ત દર્શનાર્થીઓને સ્વયંસેવકો મારફતે વ્હિલચેરની સુવિધા પૂરી પાડી માતાજીના દર્શન કરાવવામાં આવે છે. માતાજી પ્રત્યેની અનન્ય શ્રદ્ધા સાથે આવા શારીરિક રીતે અશકતો આ સુવિધા બદલ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે.