September 17, 2024

BJP કાર્યકર્તાના હત્યારાને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડપી પાડ્યો

મિહિર સોની, અમદાવાદઃ ગ્રામ્ય LCBએ કુખ્યાત આરોપી મોન્ટુ નામદારની ધરપકડ કરી છે. અસલાલીથી પોલીસ જાપતામાંથી આરોપી ફરાર થયો હતો. આરોપીએ ખાડીયાના BJPના કાર્યકર્તાની જાહેરમાં હત્યા કરી હતી. અગાઉ પણ આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો. ગ્રામ્ય LCBએ ટેક્નિકલ એનાલિસિસના આધારે આંબાવાડીથી આરોપીની ધરપકડ કરી છે. આરોપી ફરિયાદીને સમાધાન કરવા ડરાવવા માટે ફરાર થયો હોવાનો ખુલાસો થયો છે.

પેરોલ જમ્પ બાદ પોલીસ જાપતામાંથી ફરાર થયેલો આરોપી મોન્ટુ નામદાર ઉદયપુરથી અમદાવાદના આંબાવાડી આવતા ગ્રામ્ય LCBએ ધરપકડ કરી છે. 20 જૂનના રોજ આરોપી મોન્ટુ નામદારને અમદાવાદમાં કોર્ટના મુદત હોવાથી લાવવામાં આવ્યો હતો. કોર્ટ મુદત પૂર્ણ થયા બાદ નડિયાદની બિલોદરા જેલમાં લઈ જઈ રહ્યા હતા. ત્યારે આરોપીએ ડાયાબિટીસની બીમારી હોવાનું કહીને દવાના બહાને પોલીસને એસપી રીંગ રોડ પર આવેલા ગામડી ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા. ત્યાં જમવાના બહાને તેમજ પરિવારને મળવાના બહાને પોલીસ જાપતામાંથી ફરાર થઇ ગયો હતો. છેલ્લા એક માસથી ફરાર મોન્ટુ નામદાર પૈસા લેવા માટે રાજેસ્થાનના ઉદયપુરથી અમદાવાદ આવ્યો હતો. આંબાવાડીમાં ભત્રીજા મિલિન ગાંધીના ઘરે પહોંચ્યો હતો. ત્યારે ગ્રામ્ય LCBને બાતમીના આધારે ઝડપી લીધો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી મોન્ટુ નામદાર ફરાર થયા બાદ પોલીસથી બચવા સૌથી વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતો હતો. મોબાઈલનો ઉપયોગ કરતો નહોતો. હોટલમાં રજિસ્ટ્રેશન થાય તેવી કોઈ હોટલમાં રોકાતો નહોતો. આ ઉપરાંત ફાર્મ હાઉસથી એક લાખ રૂપિયા લઈને નાસી ગયા બાદ તે 3 કિલોમીટર ચાલીને બસમાં બેસીને રાજકોટ જતો રહ્યો હતો. ત્યારબાદ રાજકોટથી આબુ, આબુથી રાજસ્થાનના ઉદયપુર અને જયપુર, સુલતાનપુર અને વારણસીથી કાનપુર બાદ પરત ઉદયપુર આવ્યો હતો.

આ એક મહિના દરમિયાન તેના પર ચાલી રહેલા હત્યાના કેસમાં ફરિયાદી અને એક પંચની કોર્ટમાં જુબાની બાકી હોવાથી તેમને ડરાવી ધમકાવીને સમાધાન કરવા માટે ભાગ્યો હોવાની કબૂલાત કરી છે. આ કેસમાં પોલીસની મદદગારીથી પોલીસ જાપતામાં ફરાર થયો હોવાથી એક PSI અને બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, આરોપીએ વર્ષ 2022માં BJPના કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબી મહેતાની હત્યા કરી હતી. જેમાં મુખ્ય આરોપી તરીકે મોન્ટુ નામદાર હતો અને તે નડિયાદની જેલમાં બંધ હતો. આ ઉપરાંત આરોપી હત્યા કેસમાં ફરિયાદી બનેલા વ્યક્તિની હત્યાનું પણ ષડયંત્ર રચી રહ્યો હોવાની આશંકાને લઈને તપાસ શરૂ કરી છે.

મહત્વનું છે કે, આરોપી પહેલાં સાબરમતી જેલમાં બંધ હતો. પરંતુ જીવને જોખમ છે તેવી અરજી કરીને નડિયાદ જેલમાં ટ્રાન્સફર કરાવી હતી. અગાઉ પણ પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો. તેથી અવારનવાર ફરાર થતો આરોપી મોન્ટુ નામદારને કોણ મદદ કરે છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. અગાઉ આ આરોપી વિરુદ્ધ જુગારના 15, હથિયાર 2 અને મારામારી સહિતના અન્ય 6 ગુનાઓ નોંધાયા હતા. હાલમાં આરોપીને નડિયાદ જેલ મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.