February 16, 2025

અમદાવાદમાં પૈસા પડાવવા બે મિત્રોની કાળી કરતૂત, મિત્રને દારૂ પીવા બોલાવ્યો પછી હત્યા કરી!

અમદાવાદઃ શહેરના નિકોલમાં રહેતા વ્યક્તિની પૈસા મામલે હત્યા નીપજાવવામાં આવી છે. પૈસા પડાવવા માટે દારૂ પીવા માટે બોલાવી બે મિત્રોએ જ તેની હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી બંને હત્યારા મિત્રોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે, 9મી ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યા આસપાસ ફરિયાદીનો દીકરો જયેશ વણજારા ઘરેથી નીકળ્યો હતો. પરંતુ મધરાત સુધી પરત ન ફરતા તેના પરિવારજને નિકોલ પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાવી હતી.


ત્યારે 10મી ફેબ્રુઆરીના દિવસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે સમયે નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગુમ થયેલી વ્યક્તિના કેસ સંદર્ભ માહિતી મળી હતી. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જયેશના ગુમ થવા પાછળ નિકોલ વિસ્તારમાં જ રહેતા સીચન ઉર્ફે કાનો વસંતભાઈ પંચાલ અને વિવેક જીતેન્દ્રભાઈ ખત્રી, આ બે વ્યક્તિ જવાબદાર છે.

તપાસમાં ખુલ્યું હતું કે, શંકાસ્પદ આરોપીઓ જાણતા હતા કે, જયેશે બેંક ખાતામાં અંદાજે 18 લાખ રૂપિયા રાખ્યા છે. તેઓ જયેશની બેંક ડિટેલ્સ અને પાસવર્ડ વિશે માહિતગાર હતા. પૈસાની લાલચમાં જયેશને મારી નાખી તેની રકમ ઉપાડવાનું કાવતરું ઘડ્યું હતું.

આ કાવતરા પ્રમાણે, 9મી ફેબ્રુઆરીએ આરોપીઓએ જયેશને દારૂ પીવા માટે બોલાવ્યો હતો. તેઓ દારૂ પીવા બાઇક લઈને રાયપુર ગામની નર્મદા કેનાલ પાસેના સાઇફન વિસ્તારમાં ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ આરોપીઓએ દારૂમાં નશીલી દવા મિક્સ કરી જયેશને પીવડાવી દીધી હતી. જયેશ બેભાન થયા બાદ વિવેક ખત્રીએ તેનો મોબાઇલ ફોન લઈ ₹5,500 બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી લીધા હતા.

ત્યારપછી બંને આરોપીઓએ જયેશને પાછળથી ધક્કો મારી કેનાલમાં ફેંકી દીધો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. ગુનાનો ભેદ છુપાવવા મોટરસાયકલ રસ્તામાં મૂકી આરોપીઓ નાસી છૂટ્યા હતા. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે.