અમદાવાદમાં સવારે 8થી રાતે 10 સુધી ખાનગી બસ કે લક્ઝરીને પ્રવેશ નહીં, હાઇકોર્ટે અરજી ફગાવી

અમદાવાદઃ શહેરમાં સવારના 8થી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસ કે લક્ઝરીને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લીધો છે. ખાનગી લક્ઝરી સંચાલકોની હાઇકોર્ટમાં અપીલ હાઇકોર્ટની ખંડપીઠે ફગાવી દીધી છે. સિંગલ જજના નિર્ણયને ખંડપીઠે બહાલી આપી છે.
2004માં 18 જેટલા રૂટ પર 24 કલાકની મંજૂરી અપાઈ હતી, તે જ રૂટ પર મંજૂરી ચાલુ રાખવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અરજી કોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે ફટકાર લગાવતા કહ્યુ હતુ કે, છેલ્લા 18 વર્ષમાં શું કોઈ સ્થિતિ નથી બદલાઈ? છેલ્લા બે દાયકામાં વાહનો વધ્યાં છે. તો ટ્રાફિક મેનેજમેન્ટ મુશ્કેલ બન્યું છે અને અકસ્માત વધી ગયા છે.
તેમણે પ્રશ્ન કર્યો હતો કે, કોઈ ચોક્કસ ડેટા વિના પોલીસે લાદેલા પ્રતિબંધને ગેરવ્યાજબી કઈ રીતે જાહેર કરી શકાય? જે લોકો લક્ઝરી સુવિધાનો ઉપયોગ કરવા માંગે છે તેમના માટે વ્યવસ્થા કરવાની જવાબદારી સંચાલકોની છે. સામાન્ય નાગરિકો માટેના પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને એક સમાન રીતે જોઈ શકાય નહીં.
ત્યારે કોર્ટે હાલ પૂરતી વૈકલ્પિક રૂટ આપવાની જાહેરાત પણ ફગાવી દીધી છે. ધંધા રોજગારના અધિકાર અને આરટીઓના નિયમોને ટાંકીને ખાનગી ટ્રાવેલ એજન્સીઓએ જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો.