September 19, 2024

કોલકાતા કાંડ બાદ એક્શનમાં કેન્દ્ર સરકાર, હોસ્પિટલોમાં સુરક્ષા કર્મચારીઓની સંખ્યામાં 25 ટકાનો કરાશે વધારો

Kolkata: કેન્દ્ર સરકારે આરોગ્ય વિભાગને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર હેઠળની તમામ હોસ્પિટલોમાં સુરક્ષા કર્મચારીઓની સંખ્યામાં 25 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોલકાતાના આર. જી કર મેડિકલ હોસ્પિટલ અને કોલેજ 9 ઓગસ્ટે ઓન ડ્યૂટી ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને મર્ડર કેસ બાદ સુરક્ષાકર્મીઓએ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. જેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, તાત્કાલિક સુરક્ષા સંબંધિત સહાય માટે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત તમામ હોસ્પિટલોમાં માર્શલ તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે. જો કે, આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ એમ પણ કહ્યું કે આરોગ્ય કર્મચારીઓ સામેની હિંસાનો સામનો કરવા માટે નવો કેન્દ્રીય કાયદો લાવવો જરૂરી નથી.

ડોક્ટરોની સુરક્ષા માટે 26 રાજ્યોમાં પહેલાથી જ કાયદો પસાર થઈ ચૂક્યો છે
સુત્રો અનુસાર કોલકાતા હોસ્પિટલમાં બનેલી ઘટના પર આધારિત કાયદો લાવવાથી કોઈ મોટો ફરક નહીં પડે. કારણ કે આ દર્દી અને ડોક્ટર વચ્ચે હિંસાનો મામલો નથી. બળાત્કાર અને હત્યા જેવા કેસ હાલના કાયદામાં જ આવે છે. તેમણે એમ પણ કહ્યું કે દેશના 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પહેલાથી જ ડોક્ટરોની સુરક્ષા માટે કાયદો પસાર કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.9

ડોક્ટરો માટે કમિટી બનાવવામાં આવી રહી છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દિલ્હીના વિરોધ કરી રહેલા ડોકટરો સાથે સતત વાતચીત કરી રહ્યું છે, જેમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ફેડરેશન ઓફ રેસિડેન્સ, ડોક્ટર્સ એસોસિએશન અને ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનનો સમાવેશ થાય છે. આ બેઠક પછી એવું નિષ્કર્ષ કાઢવામાં આવ્યું હતું કે આરોગ્ય સેવાઓના મહાનિર્દેશાલયની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે જે નિવાસી ડોકટરો માટે હોસ્પિટલમાં સુરક્ષા અને સુવિધાઓ અને તેમના કામના કલાકો અને કેન્ટીન સેવાઓ અંગે ચર્ચા કરશે.

હડતાળના કારણે દર્દીઓના આરોગ્યને અસર થઈ રહી છે
એક સરકારી સૂત્રએ એમ પણ કહ્યું છે કે હોસ્પિટલમાં તમામ જાહેર સુવિધાઓ છે. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયે ડૉક્ટરોને હડતાળ ખતમ કરવા કહ્યું છે કારણ કે તેનાથી દર્દીઓના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. દેશભરના ડોકટરો આરોગ્ય કર્મચારીઓ સામે હિંસાનો સામનો કરવા અને કામદારો માટે સલામત વાતાવરણ સ્થાપિત કરવા માટે વિશેષ કાયદાની માંગ કરી રહ્યા છે.