July 2, 2024

કાળઝાળ ગરમીમાં પશુધન માટે અવાડા વિતરણ કરતી સુરતની સંસ્થાની સરાહનીય કામગીરી

અમિત રૂપાપરા, સુરત: રસ્તા પર રઝળતા પશુધન ઘણી વખત ગટરનું ગંદુ પાણી પીવા માટે મજબૂર થતા હોય છે. ત્યારે, સુરતની એક સેવાભાવી સંસ્થા દ્વારા આવા રઝળતા પશુધનની ચિંતા કરવામાં આવી છે. સુરતના કરુણા જીવદયા ટ્રસ્ટ દ્વારા રસ્તા પર રઝળતા પશુઓ ચોખ્ખું પીવાલાયક પાણી પી શકે તે માટે અવાડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

મોટા અને નાના પશુઓ માટે નાના અને મોટા અવાડા બનાવવામાં આવ્યા છે. એક અવાડાની અંદાજિત કિંમત 3500થી 4000 રૂપિયા આંકવામાં આવી રહી છે. ચિનાઈ માટે બનાવવામાં આવેલા અવાડામાં ક્ષાર થતો નથી. ઉપરાંત પાણી પણ જલ્દી ગરમ થતું નથી તેથી સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે સેવાભાવી લોકો પોતાના ઘર આગળ આ અવાડા મૂકીને પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરે અને આવા લોકો માટે આ અવાડા એકદમ ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે.

રસ્તા પર રજડતા પશુઓ ગમે તેવી જગ્યા પર પાણી પીતા હોય છે અને ઘણી જગ્યા પર તો આ પશુઓ ગટરનું ગંદુ પાણી પીતા પણ જોવા મળે છે ત્યારે પશુ પ્રત્યે લાગણી વ્યક્ત કરીને સુરતની કરુણા જીવ દયા સંસ્થા દ્વારા રસ્તા પર રજડતા પશુ માટે ચોખા પાણીની સુવિધા થઈ શકે એટલા માટે અવાડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગાય જેવા મોટા પશુ માટે મોટા અવાડા, આ ઉપરાંત શ્વાન બિલાડી સહિતના નાના પશુ માટે નાના અવાડા અને પક્ષીઓ માટે પાણીની સુવિધા કરવા માટે નાના ચિનાઈ માટેથી બનાવવામાં આવેલા કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

મહત્વની વાત છે કે કરુણા જીવ દયા સંસ્થા દ્વારા જે અવાડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તે અવાડા ચિનાઈ માટીથી બનાવવામાં આવી રહ્યા છે. જેથી કરીને તેમાં ક્ષાર પણ લાગતો નથી અને એકદમ સરળતાથી આ વાળાને સાફ કરી શકાય છે. આ ઉપરાંત ચિનાઈ માટીથી બનાવવામાં આવેલા અવાડામાં પાણી જલ્દી ગરમ થતું નથી. ઉપરાંત અવાડામાં પાણીના નિકાલની પણ વ્યવસ્થા આપવામાં આવી છે. કરુણા જીવદયા સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે શહેરમાં મૂંગા પશુઓ માટે ચોખા પાણીની વ્યવસ્થા કરવા સારું અવાડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એક અવાડાની અંદાજિત કિંમત 3500થી 4000 છે પરંતુ સેવાભાવિ લોકોને આ અવાડા એકદમ વિનામૂલ્ય આપવામાં આવી રહ્યા છે. જેથી કરીને શહેરમાં કોઈપણ પશુ પાણી વગર તરસ્યું ન રહે.

માત્ર અવાડાનું વિતરણ જ નહીં પરંતુ કરુણા જીવદયા સંસ્થા દ્વારા બીમાર પશુ પક્ષીઓની સારવાર પણ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં હજારો પક્ષીઓ અને પશુઓને થકી જીવન દાન પણ મળ્યું છે. ત્યારે હાલ ચોમાસાની સિઝનમાં શહેરમાં રજડતા પશુઓ ચોખ્ખું પાણી પી શકે તે માટે શહેરીજનોને પણ પોતાના ઘરની બહાર આ વાળા મુકવા માટેનો અનુરોધ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.