May 3, 2024

દારૂ નીતિ કૌભાંડ મામલે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન

અમદાવાદ: દિલ્હીની લીકર પોલીસીમાં ઘોટાડાને લઈને AAPના નેતાઓ અને મુખ્યમંત્રી કેજરીવાલ સહિત અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજે AAPના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. તો બીજી તરફ કેજરીવાલની રાજીનામાની અફવાઓ પર તેમની પત્ની સુનીતાએ સ્પષ્ટતા કરી છે કે, અરવિંદ કેજરીવાલ રાજીનામું નહીં આપે.

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સંજય સિંહની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ઘણાં પ્રશ્નો પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યું હતું કે, સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે અને તેમની પાસેથી કોઈ પૈસા મળ્યા નથી. અત્યારે પણ ED સંજય સિંહને કસ્ટડીમાં રાખવા માગે છે. શા માટે તેમને કસ્ટડીમાં રાખવા જરૂરી છે? સુપ્રીમ કોર્ટ હવે 2 વાગ્યે ફરી આ કેસની સુનાવણી કરશે.

સુપ્રીમે પહેલા જામીન અરજી ફગાવી હતી
AAPના નેતા સંજય સિંઘે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. જેમાં તેમને દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે 7 ફેબ્રુઆરીના રોજ દિલ્હીથી રાજ્યસભામાં ફરીથી ચૂંટાયેલા સિંહની જામીન અરજી ફગાવી દીધી હતી, પરંતુ ટ્રાયલ કોર્ટને ટ્રાયલ ઝડપથી શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો.

2 કરોડની આવકનો EDનો આક્ષેપ
EDએ હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે, સંજય સિંહ કથિત દારૂ નીતિ કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર હતા અને તેમને ગુનામાંથી 2 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

EDએ સંજય સિંહના જામીનનો વિરોધ કર્યો ન હતો
સંજય સિંહની ઇડીએ ગયા વર્ષે 4 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. EDએ હાઈકોર્ટમાં AAP સાંસદની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સંજય સિંહે આ આધાર પર જામીન માંગ્યા હતા કે તે ત્રણ મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને આ ગુનામાં તેમની કોઈ ભૂમિકા નથી. તપાસ એજન્સીએ હાઈકોર્ટમાં જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે સંજય સિંહ પોલિસી પીરિયડ 2021-22 થી સંબંધિત દિલ્હી દારૂ કૌભાંડમાંથી ઉઘરાવવામાં આવેલા ભંડોળને રાખવા, છુપાવવામાં અને ઉપયોગ કરવામાં સામેલ હતા. જોકે, સુપ્રીમ કોર્ટની એજન્સીએ તેમના જામીનનો વિરોધ કર્યો ન હતો.

સંજય સિંહને સુપ્રીમ કોર્ટે જામીન કેમ આપ્યા?
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટતા કરી કે, ‘સંજય સિંહ પોતાની રાજકીય ગતિવિધિઓ ચાલુ રાખી શકે છે. અમે નોંધીએ છીએ કે તેમણે દલીલો શરૂ કરતા પહેલા જ તેમને જામીન આપી દેવામાં આવી હતી. આ અંગે EDના એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે, મારી પાસે આ કેસને લઈને કરવા માટેની દલીલો છે, પરંતુ તેમને જામીન મળી શકે છે. સુપ્રીમ કોર્ટે EDની અરજી પર કહ્યું, “ASG કહે છે કે EDને PMLA ની કલમ 3 અને 4 હેઠળ ECIR હેઠળની કાર્યવાહી બાકી હોય ત્યાં સુધી સંજય સિંહને જામીન પર છોડવા સામે કોઈ વાંધો નથી.’  અમે હાલની અપીલ સ્વીકારીએ છીએ અને સુનાવણી દરમિયાન સંજય સિંહને જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ કરીએ છીએ.