September 20, 2024

ખેડૂતો માટે રૂ.24,475ની સબસિડીને મંજૂરી, ચંદ્રયાન-4ને લઈને કેબિનેટનો નિર્ણય

Modi Cabinet: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી. તેમણે જણાવ્યું છે કે પીએમ મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારની કેબિનેટે ખેડૂતોના લાભ માટે એક પછી એક યોજનાઓને મંજૂરી આપી છે.

NPK ખાતરો પર અપાશે 24 હજાર કરોડની સબસિડી
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, “આજે NPK ખાતરો (નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ) માટે રૂ. 24,475 કરોડની સબસિડી ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં પુરવઠા શૃંખલા અને વૈશ્વિક ભાવમાં જે અવરોધ ચાલી રહ્યો છે તેનાથી ખેડૂતોને બાકાત રાખવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખસકારીને મધ્ય પૂર્વ અને રશિયા-યુક્રેનમાં સંઘર્ષને કારણે ઊભા થયેલા પડકારોથી ખેડૂતોને અપ્રભાવિત રાખવા માટે કેબિનેટ દ્વારા પોષક તત્વ આધારિત સબસિડી ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”

ખેડૂતોની મદદ માટે PM-ASHA પર ખર્ચ કરાશે 35 હજાર કરોડ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે કેબિનેટે PM અન્નદાતા આવક સુરક્ષા યોજના – PM-ASHA માટે 35,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તો, પ્રધાનમંત્રી જનજાતિય ઉન્નત ગ્રામ અભિયાન હેઠળ આદિવાસી કલ્યાણ માટે 79,156 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

ભારત ચંદ્ર પર મોકલશે માનવ મિશન
કેબિનેટના નિર્ણયો અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે, “ચંદ્રયાન-4 મિશનને વધુ તત્વો ઉમેરવા માટે વિસ્તારિત કરવામાં આવ્યું છે. આગામી પગલું ચંદ્ર પર માનવ મિશન મોકલવાનું છે. આ માટેના તમામ પ્રાથમિક પગલાઓને મંજૂરી આપી દેવામાં આવી છે. વિનસ ઓર્બિટર મિશન, ગગનયાન ફોલો-ઓન અને ઇન્ડિયન સ્પેસ સ્ટેશન અને નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ ડેવલપમેન્ટને પણ મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: PM Modiની ગિફ્ટ થશે તમારી, 600થી વધુ ભેટોનું ઇ-ઓક્શન શરૂ

ચંદ્રયાન-4 માટે ખર્ચ કરાશે 2,104 કરોડ રૂપિયા
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે ચંદ્રયાન 4ના વિસ્તારિત મિશન પર 2,104 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. ચંદ્રયાન 4ના વિસ્તૃત મિશન હેઠળ અવકાશયાત્રીઓની એક ટીમ ચંદ્ર પર જશે અને પરત ફરશે. કેન્દ્રીય કેબિનેટે વિનસ ઓર્બિટર મિશન અને ભારતીય સ્પેસ સ્ટેશનના પ્રથમ મોડ્યુલને પણ મંજૂરી આપી છે.