September 19, 2024

ગુજરાતમાં 80 ટકા સોલાર વીજ ઉત્પાદન, ભારતમાં પહેલા નંબરે

મહેસાણાઃ દેશભરમાં સોલાર વીજ ઉત્પાદન થકી ઉત્પન્ન થતી વીજળીમાં 80 ટકા સાથે ગુજરાત પ્રથમ કર્મે છે. ગુજરાતમાં આ યોજનાનો સૌથી વધુ લાભ મહેસાણા જિલ્લાએ લીધો છે. મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં સોલાર રૂફટોપ યોજનામાં કુલ 10,234 વીજ ગ્રાહકોથી 29,568 કિલોવોટ વીજળી ઉત્પન્ન થાય છે. દિવસે ને દિવસે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ લેનારા ગ્રાહકોની સંખ્યા વધી રહી છે.

મહેસાણા જિલ્લામાં અનેક ગ્રાહક એવા છે કે, આ યોજનાના કારણે તેમનું વીજળી બિલ શૂન્ય થઈ ગયું છે. મહેસાણા જિલ્લામાં આ યોજનાનો લાભ લેનારા નાગરિકો પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાના કારણે ખૂબ ખુશ છે.

મસમોટું વિજ બિલ શૂન્ય થઈ જાય તો કોને ખુશી ન થાય! દર મહિને 5000 કરતાં વધુ વિજબીલ ન ભરવું પડે. છતાંય તમામ વીજ ઉપકરણનો ઉપયોગ કરી શકો. આ શક્ય બન્યું છે પ્રધાનમંત્રી સૂર્ય ધર યોજનાનાથી. સમગ્ર રાજ્યમાં આ યોજનાનો લાભ સૌથી વધુ મહેસાણા જિલ્લાએ લીધો છે. ત્યારે આ યોજનાથી વીજબિલ શૂન્ય થઈ જવાના અનેક હેપ્પી વીજ ગ્રાહકો મહેસાણામાં છે.

આવા જ એક ગ્રાહક છે મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સીઈઓ વિષ્ણુભાઈ પટેલ. વિષ્ણુભાઈ પટેલ મહેસાણાના રામોસણા વિસ્તારમાં આવેલા સત્યમ બંગલોઝમાં વસવાટ કરે છે. આ વિસ્તારમાં 50 કરતાં વધુ સોઆયટીઓ આવેલી છે. આ વિસ્તારમાં એક પણ સોસાયટી કે એકપણ ઘર એવું નથી કે જ્યાં ઘર ઉપર સોલાર પ્લેટ ન લાગી હોય.

વિષ્ણુભાઈએ પોતાના ઘર ઉપર 3.5 કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાવ્યો છે. આ પ્લાન્ટને કારણે તેમનું વીજ બિલ શૂન્ય થઈ ગયું છે. ઉપરથી દરવર્ષે વિષ્ણુભાઈ પટેલને વીજ કંપની 5000થી 7000 જેટલી રકમ જમા આપે છે. આવા જ એક બીજા ગ્રાહક છે અશોકભાઈ પટેલ. અશોકભાઈ પટેલે પણ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ લીધો છે અને આજે એક પણ રૂપિયો વીજ બિલ ભર્યા વગર વીજ ઉપકરણ ચલાવી રહ્યા છે.