September 20, 2024

કોના બાપની દિવાળી! રુ. 42 કરોડમાં બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવાનો ખર્ચ 52 કરોડ

અમદાવાદ: અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજ પર તપાસ કરવામાં આવી હતી અને તેમા ગેરરિતી આચરવાની માહિતી સામે આવી હતી. આ બ્રિજ રુ. 42 કરોડમાં બનેલો પરંતુ હવે આ હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 52 કરોડનો ખર્ચ થશે.

તમને જણાવી દઈએ કે, હાટકેશ્વર બ્રિજ જર્જરિત હોવાથી વાહનવ્યવહાર માટે તેને વર્ષ 2022માં બંધ કરી દેવાયો હતો. હવે બ્રિજ તોડવા માટે 2 વર્ષ પછી કામગીરી હાથ કરાશે. મનપા દ્વારા 4 વખત ટ્રે્ન્ડર બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ શરૂઆતના બે ટેન્ડરોમાં કોઈ પણ કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો નહોતો. પરંતુ હવે રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટરે રસ દાખવતા 15 દિવસમાં કામગીરી સોંપાશે. બ્રિજ તોડવા માટે 52 કરોડનો ખર્ચ આંકવામાં આવ્યો છે ત્યાં જ વર્ષ 2017માં આ બ્રિજ 42 કરોડમાં ખર્ચે બનાવવામાં આવ્યો હતો. ત્યારે બનાવવા કરતા તોડવાનો ખર્ચ વધી જતા લોકમૂખે એવી પણ ચર્ચા છે કે, એએમસી લોકાના પૈસા વેડફી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં આવેલા ચર્ચાસ્પદ હાટકેશ્વરમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. આ બ્રિજની ગુણવતા અંગે રુડકી આઈઆઈટીએ તપાસ કરી હતી અને ભારે વાહનો માટે પ્રતિબંધ કરવાની ભલામણ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી આ બ્રિજ ખખડધજ જેવી હાલતમાં હોવાથી સ્થાનિક લોકો દ્વારા તંત્રને અવારનવાર જોખમ ઉભું થવાની ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ વર્ષ 2022માં આ બ્રિજને બંધ કરી દેવાયો હતો.