September 20, 2024

JDUએ દેશભરમાં જાતિ ગણતરીની ઉઠાવી માંગ, વિપક્ષ પણ બેઠકમાં હાજર

Caste Census: હવે એનડીએના મહત્વના સહયોગી જેડીયુએ પણ જાતિ ગણતરીની માંગણી કરતા વિપક્ષ સાથે હાથ મિલાવ્યા છે. જેડીયુએ ગુરુવારે કહ્યું કે, અન્ય પછાત વર્ગ કલ્યાણ અંગેની સંસદીય સમિતિમાં ચર્ચા માટે ‘જાતિ આધારિત વસ્તીગણતરી’નો સમાવેશ થવો જોઈએ.

ડીએમકેના સભ્ય ટીઆર બાલુએ સમિતિની પ્રથમ બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપના સભ્ય ગણેશ સિંહ આ સમિતિના અધ્યક્ષ છે. સંસદના સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્ય મણિકમ ટાગોર ઇચ્છતા હતા કે સમિતિ ‘જાતિ આધારિત વસ્તી ગણતરી’ને ચર્ચા માટેના પ્રથમ વિષય તરીકે સૂચિબદ્ધ કરે.

ટીએમસીના સભ્ય કલ્યાણ બેનર્જીએ તેમને ટેકો આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે જેડીયુના સભ્ય ગિરધારી યાદવ પણ ઇચ્છે છે કે સમિતિ દ્વારા ચર્ચા માટે ‘જાતિ આધારિત વસ્તી ગણતરી’ને મુદ્દા તરીકે સૂચિબદ્ધ કરવામાં આવે. કલ્યાણ બેનર્જીએ માંગ કરી હતી કે સમિતિ ‘જાતિ આધારિત વસ્તી ગણતરી’ કરવાના મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખે. ભાજપના એક સદસ્યએ કહ્યું કે અનામતના અવકાશમાં કોન્ટ્રાક્ટ અને અસ્થાયી ધોરણે કરવામાં આવેલી ભરતીઓ અને તદર્થ નિમણૂકોનો પણ સમાવેશ થવો જોઈએ. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભાજપે દેશવ્યાપી જાતિ ગણતરીના મુદ્દે સાવધાન વલણ અપનાવ્યું છે.

તે જ સમયે, JDU તરફથી સતત માંગ કરવામાં આવી રહી છે કે સમગ્ર દેશમાં ‘જાતિ આધારિત વસ્તી ગણતરી’ કરવામાં આવે. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે જેડીયુ, જ્યારે આરજેડી સાથે બિહારમાં સત્તામાં હતી, ત્યારે રાજ્યમાં જાતિવાર વસ્તી ગણતરી હાથ ધરી હતી અને તેના આંકડા પણ જાહેર કર્યા હતા. એટલું જ નહીં બિહારમાં આરક્ષણ વધારવાનું બિલ પણ પસાર થયું હતું. આ અંતર્ગત રાજ્યમાં જ્ઞાતિ અનામત વધારીને 65 ટકા કરવાનો નિર્ણય લેવાયો હતો, જ્યારે 10 ટકા EWS અનામત સહિત કુલ ક્વોટા 75 ટકા થાય છે.