September 20, 2024

‘ભારતીયોના જીવનમાં 51 દિવસનો વધારો’, નવા રિપોર્ટમાં કરાયો દાવો

Pollution in India: ભારતમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવ્યું છે. જોકે, હવે એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે તે આપણા ભારતીયોને ચોક્કસપણે રાહત આપશે. વાસ્તવમાં, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2021ની સરખામણીમાં 2022માં ભારતમાં કણીય પ્રદૂષણ (Perticulate Pollution)માં 19.3 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. બાંગ્લાદેશ બાદ, આ વિશ્વની બીજી સૌથી મોટો ઘટાડો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રદૂષણમાં આ ઘટાડાથી દેશના નાગરિકોના આયુષ્યમાં 51 દિવસનો વધારો થયો છે.

પ્રદૂષણથી સરેરાશ જીવનમાં દિવસો ઘટવાનું જોખમ
યુનિવર્સિટી ઓફ શિકાગો (EPIC)માં એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘એર ક્વોલિટી ઓફ લાઇફ ઇન્ડેક્સ-2024’ નામનો વાર્ષિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ભારત વિશ્વ આરોગ્ય સંસ્થાના વાર્ષિક PM 2.5 સાંદ્રતા ધોરણ 5 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરના ધોરણને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે, તો ભારતીયોના જીવનમાં 3.6 વર્ષનો ઘટાડો થવાની આશંકા છે. શોધકર્તાઓએ ભારત અને અન્ય દક્ષિણ એશિયાના દેશોમાં કણીય પ્રદૂષણમાં ઘટાડો થવાનું કારણ મુખ્યત્વે અનુકૂળ હવામાન પરિસ્થિતિઓને ગણાવ્યું છે. દેશમાં તાજેતરના દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પ્રદૂષણમાં ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં ભારતમાં PM 2.5 સાંદ્રતા લગભગ 9 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હતી, જે 2021ની સરખામણીમાં 19.3 ટકા ઓછી છે.

આ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં ઘટ્યું પ્રદૂષણ
કણીય પ્રદૂષણમાં સૌથી મોટો ઘટાડો પશ્ચિમ બંગાળના પુરુલિયા અને બાંકુરા જિલ્લામાં જોવા મળ્યો, ત્યારબાદ ઝારખંડના ધનબાદ, પૂર્વ, પશ્ચિમ સિંઘભૂમ અને બોકારો જિલ્લાઓમાં જોવા મળ્યો હતો. આ દરેક જિલ્લામાં, PM2.5 સાંદ્રતામાં 20 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટરથી વધુનો ઘટાડો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના સૌથી પ્રદૂષિત પ્રદેશ, ઉત્તરીય મેદાનોમાં 2021ની તુલનામાં 2022માં રજકણના પ્રદૂષણના સ્તરમાં 17.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, આ સુધારો હોવા છતાં, જો હાલનુ પ્રદૂષણનું સ્તર યથાવત રહેશે, તો તે હજુ પણ લોકોની સરેરાશ આયુષ્યમાં લગભગ 5.4 વર્ષનો ઘટાડો કરે તેવી આશંકા છે. બીજી બાજુ, જો આગામી વર્ષોમાં કણીય પ્રદૂષણનું સ્તર સમાન દરે ઘટતું રહેશે, તો ઉત્તરીય મેદાનોમાં આયુષ્ય 1.2 વર્ષ વધી શકે છે.

આ પણ વાંચો: લોકગાયક વિજય સુવાડા ઓઢવ પોલીસ સ્ટેશનમાં હાજર થતાં કરાઇ ધરપકડ

સરકારી નીતિઓની પણ કરી પ્રશંસા
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2019માં ગુજરાતમાં પ્રદૂષણને રોકવા માટે પહેલ શરૂ કરવામાં આવી હતી. તેની અસર પણ જોવા મળી રહી છે અને સુરતમાં પ્રદૂષણમાં 20-30 ટકાનો ઘટાડો થયો છે. શોધકર્તાઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની નવીન નીતિઓ દર્શાવે છે કે બિનજરૂરી રીતે આર્થિક વિકાસને અવરોધ્યા વિના હવાની ગુણવત્તા અને લોકોના સ્વાસ્થ્યમાં સુધારો કરવો શક્ય છે. અહેવાલમાં ભારત સરકારની યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની પણ પ્રશંસા કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં રહેણાંક ક્ષેત્રમાંથી ઉત્સર્જનમાં ઘટાડો મોટાભાગે યોજનાના રાષ્ટ્રવ્યાપી રોલઆઉટને આભારી છે. તેણે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ડીઝલના વપરાશમાં ઘટાડો થવાને કારણે ટ્રાન્સપોર્ટ સંબંધિત ઉત્સર્જનમાં ઘટાડાને આભારી છે.