September 20, 2024

કરજણ ડેમનાં 5 ગેટ ખોલી 80 હજાર ક્યુસેક પાણી છોડાયું, 150 જેટલી ભેંસોનું રેસ્ક્યું કરાયું

નર્મદા: નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે જનજીવન પર ભારે અસર થઈ છે. અનરાધાર વરસાદ બાદ કરજણ ડેમનાં 5 ગેટ ખોલી 80 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. કરજણ નદીમાં પાણી છોડવાને કારણે કાંઠાનાં વિસ્તાર પ્રભાવિત થયા છે. ત્યાં જ રાજપીપળા નજીક કરજણ નદી કિનારે આવેલ ત્રણ તબેલામાં પાણી ઘુસી ગયા છે. આથી તબેલામાં પાણી ભરાતા જતા 150 જેટલી ભેંસોનું રેસ્ક્યું કરાયું છે. હાલમાં ભેંસોને જાહેર રોડ પર રાખવામાં આવી છે.

કરજણ નદીમાં પાણી છોડવાને કારણે નદીકિનારે આવેલાં ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. જેથી કાંઠાના ગામોના ખેતરોમાં મોટું નુક્સાન થયું છે, જેના કારણે જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.

નર્મદા જિલ્લામાં ભારે વરસાદની સમગ્ર જિલ્લામાં માઠી અસર પહોંચી છે. સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં 9 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકી જતા અહીં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યાં જ અંતરિયાળ ગામોમાં નાળા પરથી પણ પાણી વહેતા થયા છે. પાણી વહેતા થતાં અનેક ગામો સંપર્ક વિહોણા થયાં છે. સાથે જ ડેડીયાપાડા તાલુકાના વાઘઉંમર, પાનખલા ,ઉપલી માથાસરને જોડતા મુખ્ય નાળાનું ધોવાણ થયું છે.

નાળા પરથી નદીની જેમ પાણી વહેતાં ગામ લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ દરમિયાન ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા શબ લઈ જવા માટે મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોએ જીવના જોખમે પાણીના પ્રવાહમાંથી શબને સ્મશાને પહોચાડ્યું હતું અને તેની અંતિમક્રિયા કરી હતી.