September 20, 2024

પાલનપુરવાસીઓ હેરાન! બસ સ્ટેન્ડ બહાર 24 કલાક બાદ પણ વરસાદી પાણી નથી ઓસર્યા

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ વરસાદ થોભ્યાને 24 કલાક કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં પાલનપુર બસ સ્ટેન્ડ આગળ ભરાયેલા પાણી ઓસર્યા નથી. પાણીનો નિકાલ ન થતા મુસાફરો, વિદ્યાર્થીઓ, વાહનચાલકોને અને રાહદારીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. બસ સ્ટેન્ડમાં પાણી નિકાલની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી અને પાલિકાએ પણ કોઈ વ્યવસ્થા નથી કરે તેનો ભોગ પાલનપુરવાસીઓ ભોગવી રહ્યા છે.

પાલનપુરમાં આવેલા બસ સ્ટેન્ડ આગળ જ પાણી ભરાઈ જવાની સમસ્યા છે અને પાણી ભરાવવાને કારણે તેમાંથી મુસાફરોને પસાર થઈને બસ સ્ટેન્ડમાં જવું પડે છે. જો કે, આ રેલ્વે સ્ટેશનને જોડતો પણ માર્ગ છે એટલે રેલ્વે સ્ટેશનની જોડતા માર્ગમાં પણ વાહનોની અવરજવર છે. સ્થાનિકોનો પણ રસ્તો છે, રાહદારીઓનો પણ રસ્તો છે અને આ તમામને પાણી ભરેલી પરિસ્થિતિમાં મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે.

પાલનપુરમાં પડેલા વરસાદની 24 કલાક વીતવા છતાં ભરાયેલા પાણીનો કોઈ નિકાલ થયો નથી અને જેને કારણે લોકો પાણીમાં ચાલવા મજબૂર છે. જો કે, આ બસ સ્ટેન્ડનું કરોડોના ખર્ચે રિનોવેશન તો થયું પરંતુ તેમાં પાણી નિકાલની વ્યવસ્થા થઈ નહીં. 24 કલાક વિતવા છતાં પણ પાલનપુર નગરપાલિકાએ પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરી નહીં એટલે અત્યારે પણ પાણી ભરાયેલા છે. છેલ્લા દસ વર્ષથી આ પ્રશ્ન છે. વારંવાર રજૂઆત છતાં પણ આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. એટલે અત્યારે તો આ પરિસ્થિતિમાં ભોગવી રહી છે. માત્ર પ્રજા એટલે કહી શકાય કે તંત્ર મસ્ત છે અને પ્રજાત્રસ્ત છે.