September 21, 2024

નિઃસ્વાર્થ ભાવનાનું ઉદાહરણ એટલે દ્રવિડ, પોતાના સાથીઓ માટે 2.5 કરોડનું બલિદાન આપ્યું

નવી દિલ્હીઃ રાહુલ દ્રવિડને રમતનો સૌથી જેન્ટલમેન ક્રિકેટર માનવામાં આવે છે. ભાગ્યે જ એવું બન્યું છે કે જ્યારે દ્રવિડ કોઈ વિવાદમાં ફસાયા હોય. તેમની રમત અને વ્યક્તિત્વથી દરેક લોકો પ્રભાવિત થાય છે. હવે એક એવી વાત સામે આવી છે જેના માટે દરેક લોકો તેમના વખાણ કરી રહ્યા છે. તેમના તેજસ્વી વ્યક્તિત્વનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે. જ્યારે તેમણે ભારતીય ટીમને ટી-20 જીતવા માટે BCCI દ્વારા જાહેર કરાયેલી રૂ. 125 કરોડની રકમમાંથી રૂ. 5 કરોડની ઇનામી રકમનો અડધો ભાગ છોડી દીધો છે.

રોહિત શર્માની ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી-20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. BCCIએ જાહેરાત કરી કે આ ઐતિહાસિક જીત બાદ ટીમ, કોચિંગ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફને કુલ 125 કરોડ રૂપિયા રોકડ પુરસ્કાર તરીકે આપવામાં આવશે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ટીમના ખેલાડીઓની બરાબરી પર 5 કરોડ રૂપિયા આપવાની વાત પણ થઈ હતી જ્યારે ટીમના અન્ય કોચને 2.5 કરોડ રૂપિયા આપવાના હતા.

આ પણ વાંચો: ગૌતમ ગંભીર બન્યા ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ, જય શાહે કરી જાહેરાત

પોતાના કોચિંગ સ્ટાફ માટે 2.5 કરોડ રૂપિયાનું બલિદાન આપ્યું
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો દ્રવિડે બોર્ડને તેના રોકડ પુરસ્કારને ઘટાડીને 2.5 કરોડ રૂપિયા કરવા પણ કહ્યું હતું. તેની પાછળનું કારણ ખૂબ જ ખાસ છે. તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ કરતાં વધુ પૈસા લેવા માંગતા ન હતા. રિપોર્ટ અનુસાર, BCCIના એક સૂત્રએ કહ્યું- રાહુલને તેના બાકીના સપોર્ટ સ્ટાફ (બોલિંગ કોચ પારસ મ્હામ્બરે, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ) જેટલી જ બોનસ રકમ (રૂ. 2.5 કરોડ) જોઈતી હતી. અમે તેમની લાગણીઓનું સન્માન કરીએ છીએ.

2018માં પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો હતો
નોંધનીય છે કે દ્રવિડે 2018માં ભારતની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના મુખ્ય કોચ તરીકે સમાન વલણ અપનાવ્યું હતું. તે સમયે દ્રવિડને 50 લાખ રૂપિયા મળવાના હતા જ્યારે સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યોને 20-20 લાખ રૂપિયા મળવાના હતા. ફોર્મ્યુલા મુજબ ખેલાડીઓને 30-30 લાખ રૂપિયા મળવાના હતા. દ્રવિડે આવા વિભાજનનો ઇનકાર કર્યો, બીસીસીઆઈને દરેકને સમાન રકમ ચૂકવવાની ફરજ પડી હતી.

ત્યારબાદ બોર્ડે રોકડ પુરસ્કારોની સુધારેલી યાદી બહાર પાડી હતી, જેમાં દ્રવિડ સહિત સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 25 લાખ રૂપિયા મળ્યા હતા. દ્રવિડની આ નિઃસ્વાર્થ ભાવનાની દરેકે પ્રશંસા કરી હતી.