નર્મદામાં RTEના લાભ માટે બનાવટી આવકના દાખલા કાઠવાનું કૌભાંડ, પોલીસે તપાસ હાથ ધરી

પ્રવિણ પટવારી, નર્મદા: નર્મદા જિલ્લામાં આર.ટી.ઈ. નો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ બાબતે નાંદોદ તાલુકાના ભદામ, ગામકુવા, ભચરવાડા, બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જેને લઈ પોલીસ દ્વારા SIT રચના કરી તપાસ હાથ ધરી છે. ત્યારે આજે 100થી વધુ લોકોની પૂછપરછ પોલીસે કરી હતી.

નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે દ્વારા એસ.આઈ.ટી. ની રચના કરવામાં આવી છે. નર્મદા એ.એસ.પી લોકેશ યાદવ આ ટીમના અધ્યક્ષ છે. જ્યારે રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે. ગઢવી તથા એસ.ઓ.જી પીઆઈ યોગેશ સિરસાઠ સભ્ય તરીકે નિમાયા છે. હાલ તો આ કેસમાં કોઈ આરોપી પકડાયો ન હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ એસ.આઈ.ટી ની રચના બાદ પોલીસની ટીમ આ કૌભાંડના ફરાર મુખ્ય આરોપી દર્પણ પટેલને ઝડપી પાડવા માટે આકાશ પાતળ એક કરી રહી છે. આ તમામની વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ બનાવટી આવકના દાખલા કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો છે.

આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ પણ જિલ્લા સંકલનમાં મુદ્દો ઉછાળ્યો અને પોલીસ ફરિયાદ તો નોંધી પણ તપાસ કોઈ રાજકીય દબાણ હેઠળ ગોકળ ગતિએ ચાલુ રહી છે. ફરિયાદના આટલા દિવસો થઈ ગયા છતાં કેમ કોઈ આરોપી હજુ પકડાયો નથી. આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને નહિ પકડવા પાછળ કોનું રાજકીય દબાણ છે. જોકે હવે સાંસદે મીડિયા સામે પોલીસ પર આક્ષેપ કરતા પોલીસે આ મુદ્દે તપાસ તેજ કરી છે અને આજે સુંદરપુરાના જે લોકો એ દાખલા કાઢવ્યા છે. જેવા 100થી વધુ લોકોને રાજપીપલા પોલીસ સ્ટેશન બોલાવી ખરાઈ કરવામાં આવી રહી છે. ત્યારે SITના અધ્યક્ષ લોકેશ યાદવે જણાવ્યું હતું કે, આ ખોટા દાખલામાં કોઈ પણ સંડોવાયેલ હશે એમને છોડવામાં આવે નહિ જે લોકોએ દાખલા કાઢવ્યા છે અને જેમને આપ્યા છે. એ ખોટા સાબિત થશે તો બન્નેને આરોપી ગણવામાં આવશે અને એમને જેલ હવાલે કરવામાં આવશે.