વકફ સુધારા બિલને લઇને નીતિશ કુમારની પાર્ટીમાં મતભેદ! JDUના આ નેતાએ આપ્યું રાજીનામું

Mohammad Qasim Gives Resign: JDUએ વક્ફ સુધારા બિલને સમર્થન આપ્યું છે. પાર્ટીના આ સમર્થનથી મુસ્લિમ નેતાઓ નારાજ છે. જેડીયુ એમએલસી ગુલામ ગૌસ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ ગુલામ રસૂલ બલિયાવીએ પણ નારાજગી વ્યક્ત કરી છે. આ દરમિયાન એવા સમાચાર છે કે JDU નેતા અને વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર મોહમ્મદ કાસિમે CM નીતિશ કુમારની પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

મોહમ્મદ કાસિમે પોતાનું રાજીનામું જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમારને મોકલી દીધું છે. રાજીનામાનું કારણ વક્ફ સુધારા બિલને સમર્થન હોવાનું કહેવાય છે. જોકે આ તો માત્ર શરૂઆત છે, પરંતુ જેડીયુમાં મુસ્લિમ નેતાઓ જે રીતે નારાજ છે, તેને કારણે આવનારા સમયમાં ઘણા મોટા ચહેરાઓ પાર્ટી છોડી શકે છે. ગુલામ રસૂલ બલિયાવી પણ JDU છોડી શકે છે. JDUના મુસ્લિમ નેતાઓ પર મુસ્લિમ સંગઠનોનું દબાણ વધવા લાગ્યું છે. મુસ્લિમ સંગઠનો અને સમાજ દ્વારા દબાણ બનાવવામાં આવી રહ્યું છે.

મોહમ્મદ કાસિમે પત્રમાં શું લખ્યું?
મોહમ્મદ કાસિમ જિલ્લા (પૂર્વ ચંપારણ)ના પ્રવક્તા પણ હતા. તેમણે જેડીયુના પ્રદેશ પ્રમુખ ઉમેશ કુશવાહા અને જિલ્લા પ્રમુખ મંજુ દેવીને પણ પત્ર દ્વારા પોતાના રાજીનામાની જાણ કરી છે. નીતીશ કુમારને લખેલા પત્રમાં કાસિમે કહ્યું છે કે, ‘અમારા જેવા લાખો અને કરોડો ભારતીય મુસ્લિમોને અતૂટ વિશ્વાસ હતો કે તમે સંપૂર્ણ બિનસાંપ્રદાયિક વિચારધારાના ધ્વજવાહક છો, પરંતુ હવે આ વિશ્વાસ તૂટી ગયો છે.’

કાસિમે વધુમાં લખ્યું કે, ‘લલ્લન સિંહે જે રીતે અને જે શૈલીમાં પોતાનું નિવેદન આપ્યું અને આ બિલને સમર્થન આપ્યું તેનાથી મને ખૂબ જ દુઃખ થયું છે. વકફ બિલ આપણા ભારતીય મુસ્લિમોની વિરુદ્ધ છે. અમે આને કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકીએ નહીં. આ બિલ બંધારણના ઘણા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ બિલ દ્વારા ભારતીય મુસ્લિમોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે આ બિલ પસમાંડા વિરોધી પણ છે, જેનો ખ્યાલ તમને કે તમારા પક્ષને નથી. મને મારા જીવનના ઘણા વર્ષો પાર્ટીને આપવાનો અફસોસ છે. તેથી, હું પક્ષના પ્રાથમિક સભ્યપદ અને અન્ય જવાબદારીઓમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યો છું.