October 25, 2024

‘બળવાખોરો ઊભા ન થાય તેનું ધ્યાન રાખો’, અમિત શાહનો મહાયુતિ નેતાઓને સ્પષ્ટ સંદેશ

Maharashtra elections: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને ગૃહ મંત્રી અમિત શાહના નિવાસસ્થાને આજે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન અમિત શાહે અજિત પવાર અને એકનાથ શિંદેને સ્પષ્ટ સંદેશો આપ્યો કે બળવાખોરોને ઊભા ન થાય તેનું ધ્યાન રાખો.તેમણે કહ્યું કે ત્રણેય (ભાજપ, શિંદે જૂથ અને અજીત જૂથ)એ સાથે મળીને ચૂંટણી લડવી જોઈએ.

મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને મહાયુતિ કેમ્પમાં ભારે હલચલ જોવા મળી રહી છે. મુંબઈથી દિલ્હી સુધી મંથનનો ચાલી રહી છે. આજે મહાયુતિના નેતાઓ બપોરે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં અમિત શાહના નિવાસસ્થાને બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા થઈ હતી. મળતી માહિતી મુજબ અમિત શાહે કહ્યું કે એકબીજાના બળવાખોરોને ટિકિટ ન આપવી જોઈએ.

શાસક પક્ષ તરફથી ભારતીય જનતા પાર્ટી (BJP), મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા છે. પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જ્યારે વિપક્ષ તરફથી મહા વિકાસ આઘાડી (MVA), ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) અને શરદ જૂથે પણ પ્રથમ યાદી જાહેર કરી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાને ધ્યાનમાં રાખીને અજીત જૂથે 38 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 95% વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. નવાબ મલિક અને સના મલિકના નામ આ યાદીમાં મોટા નેતાઓમાં સામેલ નથી. અજિત પવાર પોતે બારામતીથી ચૂંટણી લડશે.