October 21, 2024

સુરતમાં ગમખ્વાર અકસ્માત, નશામાં ધૂત નબીરાએ બાઇકસવારને ટક્કર મારતા ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત

અમિત રુપાપરા, સુરતઃ શહેરના ઉધના દરવાજા ઓવર બ્રિજ પર નબીરા દ્વારા ગમખવાર અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક કાપડ વેપારીને કારચાલક નબીરાએ અડફેટે લેતા વેપારીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે કારચાલક નબીરાની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી હતી. આ દરમિયાન તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અકસ્માત સર્જનારો નબીરો કારને દારૂના નશામાં ઓવરસ્પીડ પર ચલાવવાનો આદિ છે. ભૂતકાળમાં પણ દારૂના નશામાં અનેક ગંભીર અકસ્માતો કરી ચૂક્યો છે. એટલું જ નહીમ, અગાઉ તો ઉમરા વિસ્તારમાં દારૂના નશામાં પેટ્રોલ પંપ પણ સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. હાલ તો આ મામલે સલાબતપુરા પોલીસે ફેટલનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતના સીટી લાઈટ વિસ્તારમાં આવેલા સહારે એપાર્ટમેન્ટમાં 45 વર્ષીય સંજય ધૂત વતન રાજસ્થાનથી સુરત આવતા માતા પિતાને લેવા માટે સુરત રેલ્વે સ્ટેશન જઈ રહ્યા રહ્યા હતા. આ દરમિયાન ઉધના દરવાજા બ્રિજ પર તે પસાર થઈ રહ્યા હતા. ત્યારે દેવ આહીર નામનો એક નબીરો દારૂના નશામાં પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન તેણે સંજયની બાઇકને પૂર ઝડપે ટક્કર મારી હતી. જેથી સંજય 15થી 20 ફૂટ જેટલો ફેંકાઈ ગયો હતો અને રોડની બીજી તરફે ફંગોડાયને પડ્યા હતા. જેને લઈ આ ઘટનામાં 45 વર્ષીય સંજય ધૂતનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

એટલું જ નહીં નબીરા દેવ આહીર દ્વારા સર્જવામાં આવેલો અકસ્માત એટલો ગંભીર હતો કે કારે બાઇકને ટક્કર માર્યા બાદ બ્રિજની વચ્ચેનું ડિવાઇડર કૂદી રોંગ સાઈડમાં ઘૂસી ગયો હતો અને ત્યારબાદ યુ ટર્ન લગાવીને ફરી ડિવાઈડરની વચ્ચોવચ કાર ઉભી રહી ગઈ હતી. કારની ટક્કર અને બ્રિજની વચ્ચે આવેલા ડિવાઈડર પર મુકેલા કુંડાઓ સાથે ટક્કરના કારણે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. આ કારનો અકસ્માત એટલો ખતરનાક હતો કે રસ્તાઓ પર કારના ટાયરના અને તેવા ઘસરકાઓ પણ થઈ ગયા હતા. અકસ્માત કર્યો ત્યારે દેવ આહીરની કારની સ્પીડ 100થી વધુ હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

અકસ્માતમાં મોતની ભેટનાર 45 વર્ષીય સંજય ધૂત મૂળ રાજસ્થાનના છે અને સુરતમાં બોમ્બે માર્કેટમાં સાડીના વેપારી છે. રાજસ્થાનથી આવતા તેમના માતા-પિતાને રેલવે સ્ટેશન બાઈક ઉપર લેવા ગયા હતા અને કાળમુખા અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં ઘટનાસ્થળે તેમનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 21 વર્ષીય તેમનો એકનો એક દીકરો છે અને પરિવારનો તમામ આધાર સંજયભાઈ જ હતા. ત્યારે આજે અકસ્માતમાં અકાળે મોત થઈ જતા પરિવાર પણ આવા નબીરા સામે કડક કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ માગ કરી રહ્યું છે.