October 18, 2024

તમિલનાડુ રેલવે દુર્ઘટના: સરકાર જાગે તે પહેલા કેટલા પરિવાર હોમાશે?, રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર

Rahul Gandhi on Train Accident: શુક્રવારે મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી એક્સપ્રેસ (12578) તમિલનાડુના કાવરાપેટ્ટાઈ સ્ટેશન પાસે માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ સાથે જ ટ્રેન દુર્ઘટનાને લઈને રાજકીય બબાલ પણ શરૂ થઈ ગઈ છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અનેક અકસ્માતોમાં સેંકડો લોકોના જીવ ગયા હોવા છતાં કોઈ પાઠ ભણવામાં આવ્યો નથી. રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે જવાબદારી ટોચથી શરૂ થાય છે.

જાણો શું છે સમગ્ર મામલો?
તમિલનાડુમાં શુક્રવારે 75 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આવી રહેલી એક્સપ્રેસ ટ્રેન મેઇન લાઇનમાં જવાને બદલે લૂપ લાઇન સાથે ટકરાઇ ગઈ હતી. આ દુર્ઘટનામાં અનેક મુસાફરો ઘાયલ થયા હતા અને એક કોચમાં આગ પણ લાગી ગઈ હતી.

શું કહ્યું કોંગ્રેસના નેતાઓએ?
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું અનેક અકસ્માતોના પરિણામે જાનહાનિ થઈ હોવા છતાં કોઈ પાઠ ભણવામાં આવ્યો નથી. આ માટેની જવાબદારી ટોચને આપવી જોઈએ. આ સરકાર જાગે તે પહેલા હજુ કેટલા પરિવારો બરબાદ થઈ જશે.