October 5, 2024

હત્યાને અકસ્માતમાં ખપવવાનો પ્લાન, તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તારમાં ફિલ્મને પણ ટક્કર મારે એવી એક ઘટના સામે આવી છે. જેમાં હત્યાને અકસ્માત કેસમા ખપાવવાનું પ્લાન કર્યો હતો. જેમાં પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી કારચાલકની ધરપકડ કરી હતી. જોકે પોલીસ તપાસમાં જે હકીકત સામે આવી તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હકીકતમાં આ એક અકસ્માત નહિ પણ હત્યા નો બદલો લેવા માટે હત્યા કરાઈ હોવાની ચોકાવનારી હકીકત સામે આવી છે.

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જ્ઞાનદેવ પાર્ટી પ્લોટ પાસે ચાર દિવસ પહેલા એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બોલેરો કાર ચાલક પૂરપાટ ઝડપે આવી અકસ્માત સર્જ્યો હતો અને સાયકલ સવાર સાથે કાર અથડાઈ હતી. જેમાં સાયકલ સવાર તખતસિંહ ભાટીનું મૃત્યુ નીપજ્યું હતું. જોકે અકસ્માત બાદ બોલેરો કાર ચાલક ત્યાંથી નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો પણ આસપાસના લોકો એકઠા થઈને કારચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે તપાસ કરતા પૂરપાટ ઝડપે ગાડી ચલાવવાના કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ કારચાલક આરોપી ગોપાલસીહ ભાટીની પૂછપરછ કરતા પોલીસને અમુક વાતો શંકાસ્પદ લાગી હતી.

આ ઉપરાંત સાયકલ સવાર મૃતક તખતસિંહ ભાટીના પુત્રના નિવેદન અને તેણે જણાવ્યા મુજબ કારચાલક ગોપાલસિંહ ભાટીએ અકસ્માત નહીં પરંતુ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ કરતા સમગ્ર મામલો ખરેખર અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો સામે આવ્યો હતો અને કારચાલક ગોપાલસિંહ ભાટીએ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પ્લાન કર્યો હતો. જોકે શા માટે સાયકલ સવાર તખતસિંહ ભાટીની હત્યા કરી હોવાનું પૂછતા હત્યા પાછળ જે કારણ સામે આવ્યું તે સાંભળી પોલીસ પણ ચોકી ઉઠી હતી.

સમગ્ર હત્યા પાછળની હકીકતની વાત કરવામાં આવે તો સાયકલ સવાર મૃતક તખતસિંહ ભાટી વર્ષ 2002 માં રાજસ્થાનના જેસલમેર પાસે આવેલી એક હોટલમાં જમવા ગયા હતા અને ત્યાં હોટલ માલિક સાથે પૈસા બાબતે માથાકૂટ થઈ હતી. જે બાદ તખતસિંહ ભાટી દ્વારા કાર વડે અકસ્માત સર્જી હોટલ માલિકની હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલે રાજસ્થાનમાં તખતસિંહ ભાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને જેલવાસ બાદ તખતસિંહ ભાટી જામીન પર છૂટ્યો હતો. હોટલ માલિકના પુત્ર તેની હત્યા કરી નાખશે તે ડરથી તખતસિંહ ભાટી છેલ્લા થોડા સમયથી અમદાવાદમાં પરિવાર સાથે રહેતો હતો અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જોકે તખતસિંહ ભાટી જેલમાંથી છૂટ્યો હોવાની જાણ હોટલ માલિકના પુત્ર ગોપાલસિંહ ભાટીને થતા તેણે તપાસ શરૂ કરી હતી અને છેલ્લા થોડા સમયથી રાજસ્થાનથી અમદાવાદ સમયાંતરે આવી રેકી કરી હતી. રેકી કર્યા બાદ ગોપાલસિંહ ભાટીએ તખતસિંહ ભાટીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ ગોપાલસિંહ ભાટીએ ત્રણ દિવસ પહેલા બોલેરો વેચાતી લીધી હતી અને યોગ્ય જગ્યા જોઈને પૂરપાટ ઝડપે બોલેરો ચલાવી સાયકલમાં જઈ રહેલા તખતસિંહ ભાટી સાથે અકસ્માત સર્જી તેની હત્યા નિપજાવી હતી.

પોલીસ દ્વારા આરોપી ગોપાલસિંહ ભાટીની પૂછપરછ અને વધુ તપાસ કરતાં સામે આવ્યું કે વર્ષ 2002માં જ્યારે ગોપાલસિંહ ભાટીના પિતા એટલે કે હોટલ માલિકની હત્યા તખતસિંહ દ્વારા કરવામાં આવી હતી તે પણ પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જી હત્યા કરાઈ હતી, ત્યારે તેનો બદલો લેવા ગોપાલસિંહ ભાટીએ પણ પૂરપાટ ઝડપે જ કાર ચલાવી અને સાયકલમાં જઈ રહેલા તખતસિંહની હત્યા કરી છે. આરોપી ગોપાલસિંહ ભાટી ફક્ત બદલો લેવા માટે જ રાજસ્થાનના પોકરણથી અમદાવાદ રેકી કરવા આવતો હતો અને આખરે તેણે ચાર દિવસ પહેલા અકસ્માત સર્જી હત્યા નીપજાવી હતી. આરોપી ગોપાલસિંહ ભાટી રાજસ્થાનમાં ટાયરની દુકાન ધરાવે છે. મૃતક તખતસિંહને હત્યા બદલ જે સજા મળી તેનાથી ગોપાલસિંહને અસંતોષ હોવાથી તેણે તખતસિંહની હત્યા કરવાનું નક્કી કરેલું હતું અને પિતાના હત્યાની બદલો હત્યા કરીને જ લેવાનું નક્કી કર્યું હતું, જેને કારણે જ તે રાજસ્થાનથી અમદાવાદ આવી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

હાલ તો ટ્રાફિક પોલીસે અકસ્માતના કેસમાં હત્યાની કલમ ઉમેરી સમગ્ર કેસ બોડકદેવ પોલીસને સોંપવામાં આવ્યો છે. બોડકદેવ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપી ગોપાલસિંહ ભાટી સાથે અન્ય કોઈ વ્યક્તિએ હત્યામાં મદદ કરી છે કે કેમ અને અકસ્માતમાં વપરાયેલી બોલેરો કાર તેણે કોની પાસેથી અને કઈ રીતે ખરીદી હતી તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.