October 2, 2024

જેલમાંથી બહાર આવ્યો ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમ, 20 દિવસની મળી પેરોલ

Haryana : હરિયાણા સરકારે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને 20 દિવસની પેરોલ આપી છે. આજે સવારે 6:00 વાગ્યે રામ રહીમને ભારે સુરક્ષા વચ્ચે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. રામ રહીમ રોહતક જેલમાંથી બરનવા આશ્રમ ગયો છે. આ આશ્રમ ઉત્તર પ્રદેશના બાગપતમાં છે.

શરતો સાથે પેરોલ મંજૂર
ગુરમીત રામ રહીમે 5 ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા 20 દિવસના પેરોલ માટે અરજી કરી હતી. પેરોલની શરતો અનુસાર, ડેરા પ્રમુખ ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લેશે નહીં અને આ સમયગાળા દરમિયાન હરિયાણાની બહાર રહેશે. વધુમાં, દોષિતની હિલચાલ પર નજીકથી નજર રાખવી જોઈએ અને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે તે ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ નથી.

આ કેસમાં રામ રહીમ સજા કાપી રહ્યો છે
2017માં કોર્ટે રામ રહીમને તેની બે મહિલા શિષ્યો પર બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો અને તેને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. ડેરા ચીફ અને અન્ય ત્રણને પણ 2019માં 16 વર્ષ પહેલાં એક પત્રકારની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

રામ રહીમને ક્યારે મળ્યો પેરોલ?

  • 24 ઓક્ટોબર 2020- રામ રહીમને તેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી માતાને મળવા માટે 1-દિવસની પેરોલ મળી હતી
  • 21 મેં 2021- માતાને મળવા માટે પેરોલ મળી
  • 7 ફેબ્રુઆરી 2022- 21 દિવસની ફર્લો પેરોલ આપવામાં આવી હતી
  • જૂન 2022- 30 દિવસની પેરોલ મળી. યુપીના બાગપત આશ્રમમાં મોકલવામાં આવ્યા.
  • 21 જાન્યુઆરી 2023- છઠ્ઠી વખત 40 દિવસની પેરોલ મળી
  • 14 ઓક્ટોબર 2022- રામ રહીમને 40 દિવસ માટે પેરોલ આપવામાં આવી.
  • 20 જુલાઈ 2023- સાતમી વખત 30 દિવસની પેરોલ પર જેલની બહાર આવ્યા
  • 21 નવેમ્બર 2023 – રામ રહીમને 21 દિવસની ફર્લો લઈ બાગપત આશ્રમ ગયા.
  • જાન્યુઆરી 2024- રોહતકની સુનારિયા જેલમાં બંધ ગુરમીત રામ રહીમને 50 દિવસની પેરોલ મળી છે.