October 1, 2024

ભાવનગરની તળાજા નદીમાં 4 લોકો તણાયાં, 1 મહિલાની શોધખોળ શરૂ

ભાવનગરઃ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

ભાવનગરના તળાજાના નવી કામરલો ગામે તળાજા નદીમાં 4 લોકો તણાયા હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે નદી પરનો કોઝવે પસાર કરી રહ્યા હતા તે સમયે ઘટના બની હતી.

ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે નદીના કોઝવેના પાણીના પ્રવાહમાં 4 તણાયા હતા. જેમાંથી 4માંથી 3 લોકો જાત મહેનતથી બચાવ કરી પાણીના પ્રવાહમાંથી બહાર આવ્યા છે. જેમાં 15 કલાકથી વધુ સમય થતા મહિલા તણાઈ છે. તે મળી ન આવતા તંત્ર દોડતું થયું છે.

સ્થાનિક તરવૈયા સહિત ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લાપતા મહિલાની શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં તળાજા MLA, TDO, મામલતદાર ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા.