September 24, 2024

તમિલનાડુમાં નર્સિંગની વિદ્યાર્થીનીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ, પીડિતા સારવાર હેઠળ

Tamil nadu: તમિલનાડુમાં નર્સિંગની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, થેનીની એક નર્સિંગ વિદ્યાર્થિનીનું ડિંડીગુલ જિલ્લામાં અજાણ્યા લોકો દ્વારા અપહરણ અને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. બળાત્કાર બાદ આરોપી પીડિતાને ડિંડીગુલ રેલવે સ્ટેશન પાસે છોડીને ભાગી ગયો હતો. ડિંડીગુલ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપે સોમવારે આ ઘટના વિશે માહિતી આપી અને કહ્યું કે આરોપીએ પીડિતાને ડિંડીગુલ રેલવે સ્ટેશન પાસે છોડી દીધી. જ્યાં તેણે પોલીસની મદદ માંગી.

પીડિતાને ડિંડીગુલ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની સારવાર ચાલી રહી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

ભોપાલમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ
તાજેતરમાં જ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક ખાનગી શાળાના શિક્ષકે ત્રણ વર્ષની વિદ્યાર્થીની સાથે જઘન્ય કૃત્ય આચર્યું હતું. માસૂમ બાળકના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી હતી, જેમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી. આ પછી આરોપીની ધરપકડ શાળા પરિસરમાંથી જ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, “આ બાબતે શાળાના મેનેજમેન્ટ અને સ્ટાફના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવશે. આ મામલે તપાસ ચાલુ છે.”

આ પણ વાંચો: દાહોદની હચમચાવનારી કહાણીને લઈ બાળકીની માતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

આ દરમિયાન મુખ્યમંત્રી ડો.મોહન યાદવે આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે આરોપીઓને કોર્ટ દ્વારા કડક સજા આપવામાં આવશે.